રાજકોટ.તા.22
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધાના અનેક બનાવો બન્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારમાં મોભીના મોતથી ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની વિગત મુજબ દિમ્પેશભાઈ ગીરીશભાઈ અંબાણી (ઉ.વ.43, રહે. માધાપર ચોકડી, કૃષ્ણમ બંગલો, એડીબી હોટલ પાસે) એ ગત તા.11/6/2024ના રોજ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી લીધી હતી.
બાદ તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બાદ વધુ સારવાર અર્થે દોશી હોસ્પિટલ બાદ એઈમ્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં સારવારમાં આજે દમ તોડી દિધો હતો. બનાવ અંગે એઇમ્સ પોલીસે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, દિમ્પેશભાઈને સદરબજારમાં માતંગી સિઝનલ સ્ટોર નામની દુકાન છે. તેઓ એક ભાઈ અને બે બહેનમાં નાનાં હતાં. તેમજ તેઓને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મૃતક પરિવારનો આધાર સ્તંભ હતો. મૃતકે લાખો રૂપિયા વ્યાજે લિધા હતાં. બાદ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy