રાજકોટ, તા.25
રાજકોટના માલવીયાનગર પોલીસ મથકમાં માર માર્યા બાદ સારવારમાં બે યુવાનોના મોત થયા છે જે મામલે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી મૃતકોના વારસાદોરને 50-50 લાખની સહાય ચુકવવા માંગ કરાઇ છે.
તા.14-4-25 થી તા.16 સુધીના 48 કલાકના માલવીયાનગર પોલીસ સ્ટેશનના તમામ સીસીટીવી ફૂટેજ એકઠા કરી તપાસ અધિકારીને આપવામાં આવે 6 મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફરિયાદીઓને ન્યાય આપીને કેસ પૂર્ણ કરવામાં આવે, બંને પીડિત પરિવારોને વળતર પેટે 50-50 લાખ રુપિયા આપવામાં આવે, અનુસુચિત જાતિના લોકો દ્વારા રાજકોટના અલગ-અલગ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ચોકીમાં ફરિયાદો નોંધાવવામાં આવેલ હોય તે ફરિયાદોમાં એફઆઇઆર નોંધવામાં આવે તેમજ આજ દિન સુધી અરજીનો નિકાલ ન કરનાર જવાબદાર અધિકારીઓ સામે તપાસ કમીટીની રચના કરવામાં અને તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે અને એએસઆઇ આરોપી અશ્ર્વિન કાનગડને તત્કાલ ડીસમીસ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે. નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ છે.
રજુઆતમાં હરેશ દેવજી રાઠોડે જણાવ્યું કે, માલવીયાનગર પોલીસ સ્ટેશનના કાયદાના રક્ષક પોલીસ દ્વારા બેરહેમીથી માર મારી કરવામાં આવેલ બબ્બે યુવાનોની હત્યાના કેસમાં યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરી પીડિત પરિવારને ન્યાય અપાવવામાં આવે. સમાજના આગેવાનો દ્વારા અનુસૂચિત જાતિના લોકો પર થતાં અત્યાચારો બાબતે પોલીસ સ્ટેશનમાં રજુઆતો કરવા છતાં અન્યાય થતો હોય છે તે નવી બાબત નથી. એવામાં તાજેતરમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આરોપી ન હોવા છતાં અનુસૂચિત જાતિ સમાજના યુવાન હમીર દેવા રાઠોડને પોલીસ દ્વારા ઢોર માર મારતા તેઓનું મોત નિપજેલ ત્યાર બાદ સમાજ લોકો ન્યાય માટે મૃતદેહ લઇને રોડ પર ઉતારવા મજબૂર બન્યા હતા.
રાજકોટ પોલીસ દ્વારા આરોપીની 24 કલાકમાં ધરપકડ કરી લેશે તેવી બાહેંધરી આપવા છતાં આરોપી અશ્ર્વિન કાનગડની 7માં દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થયાના સમાચાર મળે છે જે 14મી એપ્રિલના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ આંબેડકરનગર-બમાં એએસઆઇ અશ્ર્વિન કાનગડ તથા અન્ય પોલીસ કર્મીઓ દ્વારા હમીર રાઠોડ સહિતના રાજુ સોલંકીને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં લઇ જઇને ઢોર માર મારતા પ્રથમ હમીર રાઠોડ મૃત્યુ પામે છે અને હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા રાજુ સોલંકી પણ છેલ્લે તા.24ના રોજ પોતે જીવ ગુમાવે છે. જે બાબતે બન્ને સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો છે. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની માંગ છે કે આ કેસની સીટ તપાસ તાત્કાલીક આઇપીએસ સુધા પાંડેને સોંપવામાં આવે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy