ઉંઝા તા.3
અંબાજીનો ભાદરવી પુનમનો મેળો વિશ્ર્વ પ્રસિદ્ધ છે. હવે અંબાજી બાદ ભાદરવી પુનમે ઉંઝા સ્થિત મા ઉમિયા માતાજી મંદિરે પણ મેળાનું આયોજન કરાશે.
ઉંઝાના મા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે (નેતાજી) આ અંગે જણાવ્યા મુજબ, ‘પહેલીવાર ઉંઝા ખાતે ભાદરવા મહિનામાં મેળાનું આયોજન કરાશે. કેટલાક વર્ષોથી ભાદરવી પુનમે લાખોની સંખ્યામાં મા ઉમિયાના ભકતો સંઘ મારફતે પુનમ ભરવા આવે છે. આ વર્ષથી ઉંઝામાં 10 દિવસીય મેળાનું આયોજન કરાયું છે.
દિલીપ પટેલે (નેતાજી) વધુમાં જણાવ્યું કે, ‘પહેલીવાર ઉંઝામાં યોજાનારા ભાદરવી પુનમના મેળામાં આશરે 251થી વધારે સંઘો આવશે. તમામ સંઘોનું ઉંઝા મા ઉમિયા મંદિરથી 10 કિલોમીટર દુર ઉતારો તેમજ સ્વાગત કરાશે. મેળાની સાથે સતત 7 દિવસ મંદિરમાં 12 હજારથી વધુ ધ્વજા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ સાથે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ઉંઝાથી 50થી60 કિલોમીટર સુધી પગપાળા સંઘોની સેવા કેમ્પનું પણ આયોજન કરાયું છે. સમગ્ર મહોત્સવ દરમિયાન તમામ ભકતો માટે બપોરે, સાંજે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.’
તેમણે વધુમાં ઉમેર્યુ કે, ‘મા ઉમિયાના મંદિરે 7 દિવસીય ધ્વજ રોહણ મહોત્સવમાં મુખ્ય 12 હજારથી વધુ ધજા અર્પણ કરાશે. આ સાથે મુખ્ય 11 ધ્વજાની કરોડોના રકમની ઉછામણી કાર્યક્રમની પણ ઉજવણી કરાશે. મા ઉમિયાના સંગઠન, મહિલા સંગઠન અને સત્સંગ મંડળની બહેનો દ્વારા ધજા મહોત્સવની જવાબદારી સંભાળશે.
ઉંઝામાં મા ઉમિયા માતાજી સંસ્થાનના અગ્રણીઓ દ્વારા મહોત્સવ દરમિયાન જુદા-જુદા આયોજન કરાશે. તમામ સમાજના લોકો મા ઉમિયાના ધજા મહોત્સવમાં ભાગ લેશે તેમજ મહોત્સવ પહેલા હજારો બહેનો ઝવેરાની સાથે બગીઓમાં શોભાયાત્રા યોજાશે.’
મંદિરના અગ્રણીના જણાવ્યા મુજબ, ‘પહેલીવાર યોજાનારા મા ઉમિયાના ભાદરવી પુનમનો મેળાની શ્રદ્ધા-ભક્તિ સાથે ઉજવણી કરાશે. મેળામાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે. સાથે આ મહોત્સવ ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 40થી વધુ કમીટીઓ તૈયાર કરાશે. આમ મા ઉમિયાના મંદિર ખાતે ઐતિહાસિક પૃષ્ઠમાં નવું એક સોપાન ઉમેરાશે.’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy