ગાંધીનગર, તા. 21
ગુજરાતમાં રાજ્યાકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજના યુગમાં તણાવમુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં પતાંજલિ ઋષિએ યોગશાસ્ત્રનું સર્જન કર્યું હતું. ત્યારથી યોગની પરંપરા ચાલી આવે છે.
યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની સરહદી ચેકપોસ્ટ નડાબેટમાં પહોંચ્યા હતા. ત્યારે તેઓ ગુરુવારે જ સાંજે બનાસકાંઠા જિલ્લાના થરાદ પહોંચી ગયા હતા. અહીંના વડગામડા ગામ ખાતે નાગરિકો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. લોકોએ અહીં જમીન રિ સરવે, પાણી, રસ્તા, શિક્ષણ અને સિંચાઈ જેવા મુદ્દા રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ તેનું નિરાકરણ લાવવા વાયદો આપ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સિંધુ ભવન રોડ પર આવેલા ગોટિલા ગાર્ડનમાં યોજાનારા યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.
સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરની અલગ-અલગ 62 જગ્યાએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ જોડાયા હતા. શહેરના કોમ્યુનિટી હોલ, મલ્ટિપર્પઝ હોલ, ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વડીલો, બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજી રહ્યા છે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ યોગ કરીને ઉજવણી કરી છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વ યોગ દિવસની બધાને શુભકામનાઓ. આજે ગુજરાતના દરેક ખૂણામાં સૌ નાગરિકોએ સાથે મળી યોગા દિવસની ઉજવણી કરી. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર લોકો સાથે યોગાભ્યાસ કર્યો. સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમના મત વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે લોકો સાથે યોગાભ્યાસ કર્યો છે.
આ વર્ષે ફરી મેં એકવાર રેગ્યુલર યોગા કરવાનો સંકલ્પ કર્યો છે. ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર રાત-દિવસ પાકિસ્તાન-અફઘાનિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય થાય છે. આ તમામ ફોર્સીસ મળી તેને ભારતમાં આવતા રોકે છે. ગુજરાત પોલીસને પણ આ માટે ખૂબ અભિનંદન આપું છું.
અમદાવાદની વાત કરીએ તો એએમસી દ્વારા રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પ્રતિભા જૈન, અખઈના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયાં હતાં.
બનાસકાંઠાના નડાબેટના ઝીરો પોઇન્ટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહયોગી બન્યા હતા. તો દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ પણ યોગાભ્યાસ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy