જામનગર તા.23
જામનગરમાં આજે મંગળવારે હનુમાન જયંતિ નિમિત્તે શહેરમાં જ્યાં 60 વર્ષથી અખંડ રામધુન ચાલે છે. તેવા બાલા હનુમાન મંદિર સહિતના હનુમાન મંદિરોમાં સવારથી રાત સુધીમાં આરતી, હવન, નુતન ધ્વજારોહણ, અન્નકુટ, બટુક ભોજન, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા છે.
રામનવમી બાદ તરત જ આવતા હનુમાન જયંતિના તહેવારની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા નાના મોટા 150થી વધુ હનુમાન મંદિરો, દેરીઓમાં લત્તાવાસીઓ, વિસ્તારના હનુમાન ભક્તો દ્વારા જુદા જુદા આયોજનો કરવામાં આવે છે. બાલા હનુમાન મંદિરમાં સવારે 6:30 વાગ્યે આરતી યોજાઈ હતી. જે બાદ બપોરે અને સાંજે પ્રસાદ ધરાશે. ત્યાર બાદ સાંજે 7:30 વાગ્યે મુખ્ય આરતી થશે.
જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે. તેમજ આખા દિવસ દરમિયાન ભાવિકો દ્વારા નુતન ધ્વજારોહણ કરવામાં આવશે.કિશાન ચોક રોડ ઉપર શ્રી ફૂલીયા હનુમાન મહારાજનું સ્વયમ ભુ દક્ષિણી મુખનું 475 વર્ષ પ્રાચીન મંદિર ખાતે હનુમાન જન્મ જયંતિ મહોત્સવની અનોખી ઉજવણી કરી હતી. પરોઢિયે તેલ સિંદૂરના પ્યાલાનું રસ પાન કરતા હોય તેના દર્શનમાં અનેક ભક્તો જોડાય હતા. આ જ રીતે ખંભાળીયાના નાકા બહાર આવેલા ચૈતન્ય હનુમાન મંદિર ખાતે ચૈતન્ય હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે સવારે પાંચ વાગ્યે મંગળા આરતી, 9:30 વાગ્યે નુતન ધ્વજારોહણ બાદ રૂદ્રાભિષેક, સાંજે પાંચ વાગ્યે રામ કિર્તન અને બટુક ભોજન પછી સાંજે 7થી રાત્રે 11 સુધી પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
લીમડાલાઈનના વેપારી એસોસિએશન દ્વારા લીંમડાના થડમાં વર્ષ 1970થી. બિરાજતા લીંબડીયા હનુમાન મંદિર ખાતે સવારે 8 વાગ્યે મારુતિ યજ્ઞ, સાંજે પાંચ વાગ્યે સત્યનારાયણની કથા બાદ અન્નકુટ, રાત્રે 8 વાગ્યે મહાઆરતી, રાત્રે 9 વાગ્યે બટુક ભોજન બાદ મહાપ્રસાદનું આયોજન કરવમાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના જુના રેલ્વે સ્ટેશન પાસે, ગુલાબનગરમાં તાડીયા હનુમાન મંદિરે, રણજીતનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પરના, ગાંધીનગરમાં કષ્ટભંજન હનુમાન મંદિર સહિતના મંદિરોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy