રાજકોટ,તા.19
આકરા ઉનાળાના તાપ વચ્ચે રાજકોટની ભાગોળે ભૂકંપનો સિલસિલો શરૂ થયો હોય તેમ એક સપ્તાહ બાદ ફરી રાજકોટથી શાપર અને આસપાસના વિસ્તારોમાં ધરતીકંપ અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કીમી દુર હતું. મહત્વની વાત એ છે કે સપ્તાહ પુર્વેના ભૂકંપના કેન્દ્રબિંદુ કરતા આજનું કેન્દ્રબિંદુ વધુ નજીક હતું.
સિસ્મોલોજી સેન્ટરના સૂત્રોએ કહ્યું કે, આજે રાજકોટ નજીક બપોરે 2.09 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનુ કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કીમી દુર દક્ષિણ-દક્ષિણ પુર્વમાં હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 12મી એપ્રિલે આ જ ક્ષેત્રમાં ઉપરાઉપરી ચાર આંચકા અનુભવાયા હતા અને તેનુ કેન્દ્રબિંદુ રાજકોટથી દક્ષિણ-દક્ષિણપુર્વમાં 17 કીમી દુર હતુ. આજના આંચકાનુ કેન્દ્રબિંદુ એક કીમી નજીક માલુમ પડયુ હતું.
ભૂકંપના આ આંચકાની અસર રાજકોટ સુધી અનુભવાઈ હતી. રાજકોટની બહુમાળી ઈમારતો સહિત અનેક ભાગોમાં લોકોએ આંચકો અનુભવ્યો હતો અને ફફડાટ સર્જાયો હતો. શાપરમાં ભયભીત લોકો કારખાના-ઓફીસોમાંથી બહાર નીકળી ગયા હતા. આંચકાનુ ડયુરેશન વધુ હોવાનો લોકોનો દાવો હતો.
સપ્તાહ પુર્વે આ જ ક્ષેત્રમાં ધરતીકંપના ચાર આંચકાને પગલે સિસ્મોલોજી વિભાગની ટીમ પણ સર્વે માટે આવી હતી. ઉપરાંત શાપરમાં ભૂકંપમાપક યંત્ર મુકવાનો પણ નિર્ણય લેવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy