(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 22
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વડવાળા મંદિર ખાતેથી દુધરેજ વડવાળા મંદિરના મહંત કણીરામદાસ બાપુએ ખારાપાટ રબારી સમાજ દીકરીઓના શિક્ષણ માટેના વિહોતર શિક્ષણ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. કણીરામદાસબાપુ સાથે સુર સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન સુરાભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.
ખારાપાટ રબારી સમાજની દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત બને તે માટે પાટડી ખાતે શૈક્ષણિક સંકુલ બનાવવા માટે આજથી સાત દિવસ સુધી ખારાપાટ પરગણાના વિવિધ ગામોમાં વિહોતર શિક્ષણ રથ ફરશે. આ શિક્ષણ રથના માધ્યમથી વિવિધ દાન, ફાળો એકત્રિત કરી સમાજની દીકરીઓના અભ્યાસ માટે શૈક્ષણિક સંકુલ નિર્માણ પામશે.
આ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના મહંત કણીરામદાસબાપુએ આશીર્વચન પાઠવી રબારી સમાજના સામાજિક આગેવાનો, કર્મચારીઓ, શિક્ષણપ્રેમી લોકો સહિત દરેકને શિક્ષણ રથને વધાવીને દીકરીઓના અભ્યાસ માટે કન્યા કેળવણી માટેના ઉમદા ભગીરથ કાર્યમાં સહકાર આપી ફાળો નોંધાવવા આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફતેપુર ગામે દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ પણ વિહોતર શિક્ષણ રથમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે સામાજિક આગેવાનો યુવાનો અને શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy