રાજકોટ, તા.15
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં આજે સવારના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ પ્રથમ નામાંકનપત્ર (ઉમેદવારી ફોર્મ) અપક્ષ ઉમેદવારે રજુ કરી પોતાની દાવેદારી નોંધાવી હતી.
રાજકોટમાં કોઠારીયા કોલોની ખાતે રહેતા અમરદાસ દેસાણીએ રાજકોટ લોકસભાની બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેઓએ પોતાનું નામાંકનપત્ર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ રજુ કર્યું હતું.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભાની બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર અમરદાસ દેસાણી વર્ષ 2019માં પણ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ અગાઉ મ્યુ. કોર્પોરેશનથી શરૂ કરી વિધાનસભા-લોકસભાની ચૂંટણી લડી ચૂકેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાં ગત તા.12ના એક જ દિવસમાં ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ 297 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા. જે બાદ આજે તા.15ના વધુ 16 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ઉપાડતા ઉમેદવારી ફોર્મ આંકડો વધીને 313ને આંબી જવા પામેલ છે.
કલેક્ટર કચેરી આખેથી પ્રથમ દિવસે ભાજપના 12, એનસીપીના 2, બીએસપીના 4, ‘આપ’ના 10, બહુજન મુક્તિ પાર્ટીના 3, સી.પી.આઇ.એમ.ના 1, કોંગ્રેસના 13, વીટોકે-વીર 1, સી.પી.આઇ-3 તેમજ ક્ષત્રીય સમાજના 180 મળી અપક્ષ 252 મળી કુલ 297 નામાંકનપત્ર ઉપડ્યા છે. જે બાદ આજે સવારથી બપોર સુધીમાં વધુ 16 નામાંકન પત્ર ઉપડતા નામાંકનપત્રનો આંકડો વધીને 313ને આંબી જવા પામેલ છે.
ઉમેદવારો તા.19 સુધી તેમના નામાંકન પત્ર (ચૂંટણી ફોર્મ) ચૂંટણી અધિકારી સમક્ષ સબમીટ કરાવી શકશે ત્યારબાદ તા.20ના ઉમેદવારીપત્રની ચકાસણી થશે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.22 નિયત કરવામાં આવી છે જે બાદ રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણીચિત્ર સ્પષ્ટ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy