► હજુ આવતીકાલ સુધી આકરા તાપમાં કોઈ રાહત નહીં; બાદમાં પારો 3-3 ડીગ્રી ઘટશે: પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં હીટવેવ
રાજકોટ,તા.17
રાજકોટ શહેરમાં આજરોજ પણ મોદી સવારથી જ સૂર્યદેવતાએ રૌદ્ર સ્વરૂપનાં દર્શન કરાવ્યા હતા. ગઈકાલે 41.5 ડિગ્રી તાપમાન બાદ આજરોજ પણ સવારે 11 વાગ્યાથી જ આકાશમાંથી અગનવર્ષા થવા લાગતા નગરજનો આકુળ વ્યાકુળ થઈ જવા પામ્યા હતા.
બપોરે ભયંકર અને અસહ્ય તાપનાં કારણે સિધી જનજીવન ઉપર અસર દેખાઈ હતી અને રાજમાર્ગો ઉપર સાવ પાંખો ટ્રાફિક નજરે પડયો હતો તો બજારો પણ સુમસામ થઈ ગઈ હતી.
આજે બપોરે 2.30 કલાકે જ શહેરનું તાપમાન 43.4 ડીગ્રી સુધી પહોંચી જતા લોકોએ ભઠ્ઠા શેકનો અનુભવ કરેલ હતો. બપોરે અઢી કલાકે હવામાં ભેજ 19 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 10 કી.મી. પ્રતિકલાક રહેતા આગ ઝડતી લું પણ અનુભવાઈ હતી.
જયારે, આજે સવારે 8.30 કલાકે રાજકોટનું તાપમાન 29.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 24.5 ડીગ્રી નોંધાયુ હતું. તેમજ સવારે હવામાં ભેજ 62 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. રહેવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે અને ખાસ કરીને રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં તાપમાનનો પારો 42થી43 ડીગ્રી ઉપર પહોંચી જવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.
અત્રે સૌથી નોંધનીય બાબત એ છે કે, મોટાભાગે રાજકોટમાં મે માસ દરમ્યાન મહતમ તાપમાન 44 ડીગ્રી સુધી પહોંચે છે. પરંતુ આ વર્ષે સૌપ્રથમ વાર જ એપ્રિલમાં તાપમાનનો પારો 44 ડીગ્રી સુધી પહોંચી જતા શહેરીજનો ત્રસ્ત થઈ ગયા હતા.
હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આવતા બે દિવસ તાપમાનમાં કોઈ રાહત નહીં મળે પરંતુ ત્યારબાદ પારો બે થી ત્રણ ડીગ્રી નીચે આવી શકે છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ તથા ગીર સોમનાથમાં હીટવેવની હાલત સર્જાવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા પણ બાળકો, વૃદ્ધો તથા ગંભીર બિમારીથી પીડાતા લોકોને આરોગ્યની કાળજી લેવા સૂચના આપવામાં આવી છે.
ખુલ્લા તાપમાં બહાર નહીં નીકળવા, લાઈટ કલરના કોટનના કપડા પહેરવા, માથુ ઢાંકીને રાખવા જેવી સલાહ આપવામાં આવી છે. જો કે આવતીકાલ બાદ આકરા તાપમાં આશિંક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy