રાજકોટ તા.9
હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનો અનોખો અને આગવો મહિમા છે. અખાત્રીજ કે અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મ તથા જૈન ધર્મમાં પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. આવતીકાલે ભગવાન પરશુરામ જયંતી છે. અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ અને નરનારાયણ પૃથ્વી પર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.
શોભાયાત્રા
આવતીકાલે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ અનેરા ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવનાર છે. શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા કાલે સાંજે પંચનાથ મંદિરેથી દર વર્ષની જેમ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા સદર, પારસી અગિયારીથી રેસકોર્સ, કિશાનપરા થઈને રૈયા રોડ ચોકડીથી પરશુરામ ધામ વિરામ પામશે ત્યાં મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડશે. કાલે રાજકોટમાં ‘જય પરશુરામ’નો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે.
બ્રહ્મસેના
બ્રહ્મસેનાના 26માં સ્થાપના દિન નિમિત્તે ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરશે.
બ્રહ્મ સેના દ્વારા આવતીકાલે સવારે 8-30 કલાકે પૂજન બાદ ધર્મયાત્રાનો પ્રારંભ પાણીના ઘોડા, પેડક રોડથી થશે. જે પટેલવાડી, ભાવનગર રોડ થઈને પાંજરાપોળ, ગરૂડની ગરબી, રામનાથપરા, હાથીખાનાથી પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, બાલાજી મંદિર, મોટી ટાંકી ચોક, જીલ્લા પંચાયત, બહુમાળી ભવન, ચૌધરી હાઈસ્કૂલથી પંચનાથ મંદિરે વિરામ પામશે.
બ્રહ્મસેનાના અધ્યક્ષ જગદીશભાઈ રાવલે જણાવેલ છે કે ધર્મયાત્રામાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર સાથે ભગવાન પરશુરામનો રથ રાધેશ્યામ ગૌ શાળા દ્વારા સુશોભિત થઈને યાત્રામાં જોડાશે.
અખાત્રીજના પવિત્ર દિવસે જન્મ લેનાર દિકરીને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત કોઈપણ જ્ઞાતિની દીકરીને ચાંદીની કડલી ભેટ અપાશે. તે માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ વિદાય થતી બ્રાહ્મણ પરિવારની દીકરીનું પ્રથમ મામેરૂ સંસ્તા દ્વારા કરવામાં આવશે. તથા વ્યસન મુકિત અભિયાન અંતર્ગત રીક્ષાચાલક ભાઈઓ માટે વ્યસન મુકિત કરનારને સંસ્થા દ્વારા રૂા.5 લાખનો સુરક્ષા ચક્ર વીમો અપાશે. જેમને પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવીને ધર્મયાત્રામાં જોડાવાનું રહેશે. વિશેષ વિગતો માટે જગદીશભાઈ રાવલ (મો.99095 90102)નો સંપર્ક કરવો. આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજમાં ભગવાન પરશુરામ જયંતીની ઉજવણીનો અનેરો થનગનાટ વ્યાપેલો છે.
♦ બહુમાળી ચોકમાં ભગવાન પરશુરામ ભકિત
બહુમાળી ભવન ચોકમાં મિત્ર મંડળ દ્વારા ભગવાન પરશુરામ જન્મજયંતીની ઉજવણી અંતર્ગત પંડાલની રચના કરવામાં આવી છે. અતિ સુશોભિત અને દર્શનીય પંડાલમાં શ્રી પરશુરામની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. દરરોજ મહાઆરતી કરવામાં આવે છે. આ રસ્તેથી પસાર થતા લોકો દર્શનનો લાભ લેતા હોય છે. પ્રથમ તસ્વીરમાં ભગવાન પરશુરામજી તથા બીજી તસ્વીર અતિ સુશોભિત પંડાલની છે.
(તસ્વીર: દેવેન અમરેલીયા)
♦ ત્રિકોણબાગ ખાતે પરશુરામજી દર્શન: સાંજે મહાઆરતી
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામનો આવતીકાલ અખાત્રીજના જન્મોત્સવ બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવાશે. પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા તા.1લીથી ત્રિકોણબાગ ખાતે પંડાલની રચના કરી અને ભગવાન શ્રી પરશુરામની સ્થાપના કરી છે. તા.1લીથી દરરોજ સાંજે મહાઆરતી કરવામાં આવી રહી છે. ઉપરોકત તસ્વીરમાં ભગવાન પરશુરામના દર્શન થાય છે. બીજી તસ્વીરમાં સુશોભન સાથેનો પંડાલ જોવા મળે છે. (તસ્વીર: દેવેન અમરેલીયા)
♦ ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા કાલે શોભાયાત્રા: 51થી વધુ ફલોટસ જોડાશે
રાજકોટ તા.9
બ્રાહ્મણોના આરાધ્યદેવ એવા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિતે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ ત્રિકોણબાગ રાજકોટ દ્વારા છેલ્લા 30 વર્ષોથી આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષના કન્વીનર ધનંજયભાઈ દવે, સહ ક્ધવીનર પ્રતિકભાઈ બલભદ્ર, સંયોજક આશિષભાઈ મહેતા, ખજાનચી વિમલભાઈ દવે વ્યવસ્થાપક, જીગ્નેશભાઈ ઉપાધ્યાયની આગેવાનીમાં આ શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિર રાજકોટથી પરશુરામ ધામ વેજા ગામ ખાતે સાંજે ચાર કલાકે પ્રસ્થાન કરશે.
આ શોભાયાત્રામાં 40 હજાર કરતા વધુ બ્રહ્મબંધુઓ તેમજ 51થી વધુ ફલોટસ સાથે આ શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં અલગ અલગ બ્રાહ્મણ સંગઠનો આ શોભાયાત્રામાં જોડાય છે તેમજ બીજી જ્ઞાતિના લોકો આ શોભાયાત્રાનું સ્વાગત કરતા હોય છે. શોભાયાત્રા પરશુરામ ધામ મંદિર પહોંચ્યા બાદ મંદિર ખાતે મહાઆરતી તેમજ બ્રહ્મભોજનનું પણ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રાનો રૂટ નીચે મુજબનો રહેશે
પંચનાથ મહાદેવ મંદિર રાજકોટથી ત્રિકોણબાગ, માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, રૈયા રોડ, હનુમાન મઢી ચોક, રૈયા ચોકડીથી પરશુરામ ધામ વેજાગામ સુધીનો રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy