રાજકોટ, તા. 5
સમસ્ત ચારણીયા સમાજ દ્વારા આઈશ્રી નાગબાઈ માતાજીનાં બીજ મહોત્સવ નિમિતે રાજકોટમાં તા. 7 જૂલાઈ, 2024નાં રોજ રવિવારે અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. ધાર્મિક પ્રસંગમાં-પઘારવા રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન સુધી ગામડે-ગામડે ચારણીયા સમાજનાં ઘરે ઘરે આમંત્રણ પાઠવાયા છે. અંદાજે 4 હજાર થી વધુ લોકો કાર્યક્રમમાં જોડાશે.
રાજકોટમાં ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો તા. 7 જૂલાઈ, 2024નાં રવિવારનાં રોજ સવારે 9.30 વાગ્યે કિસાનપરા ચોકથી પ્રારંભ થશે. જેમાં શ્રી નવઘણભાઈ ડી. મુંધવા (નાગલધામ ગૃપ, અમદાવાદ)નાં પરિવાર દ્વારા આઈશ્રી નાગબાઈ માતાજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભવ્ય શોભાયાત્રામાં પૂ. જગદંબા આઈશ્રી નાગબાઈ માતાજીની ફણીધર નાગ સાથેની 14 ફૂટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરૂં આકર્ષણ જમાવશે. શોભાયાત્રામાં સૌથી આગળ વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે.
આ રથયાત્રામાં શાનદાર ડી.જે.નાં સુર-તાલે આધ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજ જબરૂ આકર્ષણ જમાવશે. આ સાથે રથયાત્રા ફરતે યુવાનો ભગવી ધ્વજા સાથે તૈનાત રહી વ્યવસ્થા સંભાળશે. આ શોભાયાત્રામાં પરંપરાગત પહેરવેશ સાથે વડીલો તો ઠીક યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે. નાના બાળકોને પણ ચારણીયા સમાજનાં પરંપરાગત પહેશવેશમાં સજજ કરશે. આ ઉપરાંત કેટલાક નાના બાળકોને હિન્દુ ધર્મનાં દેવી-દેવતાઓની વેશભૂષામાં તૈયાર કરીને ભવ્ય શોભાયાત્રાને દિવ્ય બનાવાશે. આ તકે વૃક્ષારોપણ કરાશે.
રાજકોટમાં કિસાનપરા ચોક ખાતે તા. 7ને રવિવારે અષાઢી બીજનાં પાવન દિવસે સવારે 9.30 વાગ્યે ચારણીયા સમાજનાં જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજનાં સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓનાં હોદેદારો વગેરે ખાસ ઉપસ્થિત રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. કિસાનપરા ચોક ખાતે પૂ. શ્રીનાગબાઈ માતાજીની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમાનાં પુજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ રેસરોર્સમાં કિસાનપરા પાસે બપોરે 12.30 વાગ્યે સમાપન થશે. જયાં રેસકોર્સ ખાતે ભવ્ય શોભાયાત્રાનું સમાપન થયા બાદ સમુહ મહાપ્રસાદ યોજાશે.
આ આયોજનને સફળ બનાવનાર પ્રવિણ ભાઈ ગોગિયા, કિશોરભાઈ ચૌહાણ, જયેશ ભાઈ ગર, યાજ્ઞિક ગોગિયા, કેતનભાઈ આઠુ ,દિનેશભાઈ ચૌહાણ, પ્રવિણ મોબરા, નરેશ ગોગિયા, ગોપાલ ખાણીયા, રવિ બઢીયા સાંજ સમાચારની મુલાકાત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy