♦ મેટોડા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો: માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી: મૃતકની પત્ની સારવાર હેઠળ
રાજકોટ, તા.14
રાજકોટના જમીન મકાનના ધંધાર્થી નિલેશભાઈ પોકર નામના યુવાને ગઈ રાતે વાગુદળ નજીક મેલડીમાંના મંદિર પાસે સરકારી બગીચા નજીક ઝાડમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની જાણ થતાં મેટોડા પોલીસ મથકના ડીવાયએસપી રાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. મૃતકને તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ પાઈપના ઘા ઝીંકતા લાગી આવ્યું હતું અને બાદમાં અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં જયગોપાલ અમૃતપાર્ક સોસાયટીમાં પ્લોટ નં.71 માં રહેતાં નિલેશભાઈ નરશીભાઇ પોકર (ઉ.વ.35) એ ગઈ રાતે વાગુદળ રોડ પર આવેલ મેલડીમાંના મંદિર પાસે સરકારી બગીચાની સામે આવેલ ઝાડમાં દોરડું બાંધી ફાંસી ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે રાહદારીએ પોલીસને જાણ કરતાં મેટોડા પોલીસ મથકના ડીવાયએસપી રાણા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવ અંગે મૃતકની તપાસ કરતાં તેઓ જમીન મકાનના ધંધાર્થી હતાં. ગઈ રાતે તેઓને તેમની પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્નીને પાઈપથી મારમારતાં તેણી લોહીલુહાણ થઈ ગઈ હતી અને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જે વાતનું તેને લાગી આવતાં ઘરેથી દોરડું લઈ નીકળી ગયો હતો અને અંતિમ પગલું ભરી લીધાનું મૃતકના પરિવાજનોનું કહેવું છે. મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy