► સરકાર જાહેર કરે એ એસઓપીની શરતો ઉપર પણ નજર : ભારે નિયમો આવે તો નહીં સ્વીકારવા પણ મહામંડળની તૈયારી : કલેકટરનું ધ્યાન દોરી દીધુ
રાજકોટ, તા. 12
રાજકોટમાં ફાયર સેફટી મામલે 100થી વધુ શૈક્ષણિક સંકુલોને સીલ મારવામાં આવ્યા છે અને ગઇકાલે સીલ ખોલવાના નિયમો હળવા કરવા મહામંડળે મુખ્યમંત્રીને રજુઆત પણ કરી હતી ત્યારે આજે બપોર સુધી નવા નિયમો અંગેની એસઓપી જાહેર નહીં થતા સંચાલકો અને વાલીઓ પણ ભારે દ્વિધામાં છે. આ સ્થિતિમાં હવે આવતીકાલથી નવા શિક્ષણ સત્રના પ્રારંભે જો શાળાઓ ખોલવા મંજૂરી નહીં મળે તો નિયમ મુજબ ખુલી શકતી શાળાઓ પણ નહીં ખોલવાનો ઉગ્ર નિર્ણય મહામંડળે લીધો છે.
રાજકોટમાં કાલથી એક પણ ખાનગી કે ગ્રાન્ટેડ શાળા ન ખોલવાની તૈયારી વચ્ચે સરકારની એસઓપીના નિયમો સ્વીકારી શકાય કે નહીં તેનો પણ પહેલા અભ્યાસ કરવામાં આવશે તેવું હોદ્દેદારોએ જણાવ્યું છે. રાજકોટ શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદ્દેદારો દ્વારા આ મામલે આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશી તેમજ મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી.
જેમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર જિલ્લાની ફાયર સેફટીના મામલે સીલ કરાયેલ શાળાઓના આવતીકાલથી ખોલવા દેવામાં નહીં આવે તો શિક્ષણ કાર્ય ઠપ્પ કરી દેવામાં આવશે. તેની સાથોસાથ વધુમાં એવું જણાવ્યું હતું કે જો આ સીલ કરાયેલ શાળાઓ ખોલવા દેવામાં નહીં આવે તો આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જિલ્લાની એક પણ ખાનગી શાળાઓ શરૂ થશે નહીં.
આ રજુઆતમાં શિક્ષણ બોર્ડના મેમ્બર ડો.પ્રિયવદન કોરાટ, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા તેમજ અવધેશભાઇ કાનગડ, અવધેશભાઇ પટેલ, ભરતભાઇ ગાજીપરા, જયદીપભાઇ જલુ, શૈલેષભાઇ વોરા, કિશોરભાઇ દવે, સુનીલભાઇ બરોચીયા સહિતના હોદ્દેદારો જોડાયા હતા.
શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આ હોદ્દેદારોએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાઓ વિનામૂલ્યે શિક્ષણ આપતી સંસ્થાઓ છે. રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં જો આ અંગે ગાઇડલાઇન જાહેર કરી સંસ્થાઓ ખોલવા માટે કોઇ વ્યાજબી ઉકેલ નહીં લવાય તો રાજકોટ સહિત રાજયભરમાં શિક્ષણ ડામાડોળ થશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામેલ છે.
રાજકોટ શહેર જિલ્લામાં ફાયર સેફટી અને બીયુ સર્ટીફીકેટના મામલે ખાનગી અને ગ્રાન્ટેડ સહિત 100 જેટલી શૈક્ષણિક સંસ્થાઓને સીલ મારી આકરા પગલા લેવામાં આવેલ છે. જેના પગલે આવતીકાલથી પ્રારંભ થનારા નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે આ સીલ મરાયેલી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ મૂકાઇ ગયો છે.
જોકે ખાનગી શાળા સંચાલક મંડળે જાહેર કરી દેવાયુ છે કે બીયુ અને ફાયર એનઓસીના મામલે સરકાર દ્વારા જાહેર થનારી એસઓપી જો તેમને માન્ય નહીં હોય તો જિલ્લાની એક પણ ખાનગી શાળાઓ કાલથી શરૂ થશે નહીં.
શાળા સંચાલકો ફરી મનપામાં દોડયા
આજે કમિશ્નર ન મળ્યા : નિયમ પાલન બાદ પણ મંજૂરી નહીં મળતી હોવાની ફરિયાદ
રાજકોટ, તા. 12
આવતીકાલથી શાળાઓ ખોલવી કે નહીં તેની દ્વિધામાં રહેલા સંચાલક મંડળના હોદ્દેદારો આજે પણ મનપા કચેરીએ આવ્યા હતા. પરંતુ કમિશ્નર તેમને મળી શકયા ન હતા.
ગઇકાલે જ કમિશ્નર અને મહામંડળના હોદ્દેદારો વચ્ચે ચર્ચા થઇ હતી અને સીલ ખોલવા અંગે રજુઆતો કરી હતી. તે બાદ આજે ફરી હોદ્દેદારો આવ્યા હતા પરંતુ એકને એક ચર્ચા માટે કમિશ્નર ફરી મળ્યા ન હતા અને ગાઇડલાઇનની રાહ જોવાનો સંદેશ આપ્યો હતો. આમ પણ કમિશ્નર નાયબ આરોગ્ય અધિકારીના ઇન્ટરવ્યુમાં બેઠા હતા. આ બાદ સંચાલકો પરત ફરી ગયા હતા.
એસઓપીની વાત હવે સરકાર કક્ષાની છે. સરકારના માર્ગદર્શન હેઠળ નવી માર્ગદર્શિકા જાહેર થવાની છે. આ સંજોગોમાં આજે પણ શાળા ખુલશે કે કેમ તે સ્પષ્ટ થયું નથી. મહામંડળના ડી.વી.મહેતા સહિતના હોદ્દેદારો કોર્પોરેશને પહોંચ્યા હતા પરંતુ આજે બપોર સુધી કોઇ રસ્તો નીકળી શકયો ન હતો.
મહામંડળે જાહેર હિત માટે આ પ્રશ્નની રજુઆત કરતા હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓની સલામતીને તેઓ પણ અગ્રતા આપે છે. ફાયર સાધનો મૂકવા છતાં સીલ ખોલવા મંજૂરી આપવામાં વિલંબ થતો હોવાની ફરિયાદ પણ તેઓએ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy