રાજકોટ તા.27
હરીધવા મેઈન રોડ પર ગાળો બોલી રહેલા અજાણ્યા શખ્સોને ટપારતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ વૃધ્ધના અમુલ પાર્લરમાં તોડફોડ કરી વૃધ્ધને પાઈપથી ફટકારતા તેમનો હાથ ભાંગી નાખ્યો હતો. બનાવ અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બનાવ અંગે હરીધવા મેઈન રોડ પર ભવનાથના ખુણે રહેતા રાઘવભાઈ નાથાભાઈ ગાજીપરા (ઉ.63)એ ફરીયાદમાં આરોપી તરીકે ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે તેઓ ખેતી કામ કરે છે અને તેમના ઘર નજીક જ તેમના પુત્રને અમુલ પાર્લર આવેલું છે. તેઓ દરરોજ રાત્રીના સમયે પાર્લર ઉપર બેસી વેપાર કરે છે. ગઈકાલે રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ તેમના પુત્ર અને ત્યાં રાખેલ એક માણસ સાથે પાર્લર પર હતા ત્યારે એકટીવા ધોકા સાથે ધસી આવેલા બે શખ્સો તેમજ ચાલીને આવેલા એક શખ્સે કોઈપણ જાતની વાતચીત કર્યા વગર ઝઘડો કરવા લાગ્યો અને ધોકા વડે ત્રણેય શખ્સો તોડફોડ કરી ચીજવસ્તુ ફેંકવા લાગેલ હતા. બે શખ્સોએ ધોકા વડે પાર્લરના કાચ તેમજ ગરમ પફ રાખવાના ઓવન મશીન તેમજ ફ્રીઝમાં ફટકારી કાચ તોડી નુકશાની કરેલ હતી.
દરમ્યાન તોડફોડ કરી રહેલા શખ્સોને અટકાવવા જતા ફરીયાદીને પણ હાથમાં ધોકો ફટકારી હાથ ભાંગી નાખ્યો હતો. વધુમાં ઉમેરતા તેઓએ જણાવ્યું કે ત્રણેય શખ્સો તેમના પાર્લર પાસેથી ગાળો બોલી પસાર થતા હતા. જેઓને ગાળો બોલવા બાબતે ટપારતા આરોપીઓએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસે મારામારી, તોડફોડ સહિતનો ગુનો નોંધી સીસી ટીવી ફૂટેજના આધારે હુમલો કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy