સૌરાષ્ટ્રમાં મેઘો મંડાયો : અડઘાથી ત્રણ ઇંચ ધોધમાર વરસાદ

Saurashtra | Rajkot | 29 June, 2024 | 05:00 PM
અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર જિલ્લામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ : ગરમી-ઉકળાટમાંથી રાહત થઇ : મેઘાવી માહોલ જામતા વર્ષ સારૂ જવાની આશા
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ હવામાન વિભાગની આગાહીના પગલે રાજુલા પંથકમા સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમા ડુંગર, માંડળ, મોરંગી, કુંભારીયા, દેવકા, ખાંભલીયા, માંડરડી સહીતના ગામડાઓમા વરસાદ પડયો હતો. ડુંગર ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા પંથકમાં આ ચોમાસાની ૠતુનો પ્રથમ સારો એવો વરસાદ પડયો છે.

વરસાદને પગલે અસહ્ય ગરમી બાદ વાતાવરણ ઠંડક પ્રસરી હતી. સ્થાનિક ખેડૂત આગેવાન રમેશભાઇ વસોયાએ જણાવ્યુ હતુ કે, આ વરસાદ પડતા ખેડૂતોએ કપાસ, સીંગ પાકનું વાવેતર કરવામા આવ્યુ છે સારો વરસાદ પડયો છે તેમજ અત્યાર સુધી વાવણી ન હતી અને ખેડૂતોની મીટ આકાશ ઉપર મૈડાયેલ હતી. જેથી કુદરતે વાલ વરસાવી અને સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી અને હવે ખેડૂતો વાવણી કરશે.

તારીખ 28 જુન 2024 શુક્રવારના રોજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેવા કે મોટાભમોદ્રા, પિયાવા, વંડા,શેલણા માં સારો એવો વરસાદ પડ્યો હતો. અંદાજે એકાદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદની આગાહી હતી ત્યારે 28 જૂન શુક્રવારના રોજ સાવરકુંડલાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

ઉપરાંત ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર ચાલુ રહી છે. જિલ્લાના ગારીયાધાર માં દોઢ ઇંચ ,પાલીતાણા અને સિહોર માં એક- એક ઇંચ, જેસર,ભાવનગર શહેર અને તળાજા માં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે. 

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં સવારે અને બપોરે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. જ્યારે જિલ્લાના ગારીયાધારમાં  ધોધમાર દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવો ભારે વરસાદ પડ્યો છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 3, ઉમરાળા 3,ભાવનગર શહેર 14, ઘોઘા 11 ,શિહોર 21,ગારીયાધાર 38 ,પાલીતાણા 28 ,તળાજા 17 અને જેસરમાં 19 મી.મી. વરસાદ નોંધાયો છે. 

મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં વરસાદ નોંધાયેલ છે અને ધીમીધારે અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે હળવદ તાલુકાના નવા ઇશાનપુર ગામે આકાશી વીજળી પડી હતી જેથી કરીને ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ ગયા હતા.

ગઇકાલની જેમ આજે પણ બપોરથી વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકામાં ગઇકાલે વરસાદ નોંધાયેલ છે જેમાં હળવદમાં એક ઇંચ, મોરબીમાં પોણો ઇંચ અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જો કે, માળીયા અને વાંકાનેર તાલુકામાં વરસાદી માહોલ હતો તેમ છતાં વરસાદ પડ્યો ન હતો અને કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ હતો. અને ધીમીધારે આકાશમાંથી કાચું સોનું વરસ્યું હતું જેથી કોઈ જગ્યાએ નુકશાનીના સમાચાર ન હતા.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં નવા ઈસનપુર ગામે ટપુભાઈ પ્રેમજીભાઇના રહેણાંક મકાન ઉપર વીજળી પડી હતી જેથી કરીને તેઓના ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા જો કે, ઘરના સભ્યો ઘરમાં જ હોવા છતાં સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી અને મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં બે થી છ વાગ્યા સુધીમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે.

જામનગર શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસતા નથી.જેના લીધે ગરમી અને બફરાથી શહેરીજનો ભારે બફરા વધતા ત્રાહિમામ  થઈ રહયા છે.ત્યારે મહતપ તાપમાન નો 35.3 નોંધાયું હતું.

જિલ્લા કલેક્ટર કન્ટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ   આજે સવારે (કોસમાં મોસમનો કુલ વરસાદ) જામનગર શહેરમા 2 (41) મિમી,,જોડિયામાં 7 (46)મિમી અને કાલાવાડમાં 2 (121) મિમી વરસાદ નોંધાયો હતો.

જામનગર તાલુકાના વસાઈમાં 2 મિમી ,જામ વંથલીમાં 5 મિમી,વરસાદ તો જોડિયાના  બાલભામાં 4 મિમી,પીઠડ માં 19 મિમી વરસાદ નોંધાયો હતો. તો કાલાવડ તાલુકાના નવાગામમાં 5 મિમી,પાંચ દેવડામાં 22 મિમી,ખરેડીમાં 12 મિમી,વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં ગઈકાલે વરસાદી માહોલ જામતા અમરેલી, રાજુલા, જાફરાબાદ, લાઠી, લીલીયા, બાબરા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં હળવાથી લઈ દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

અમરેલી શહેરમાં ઘણાં જ સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહયા હતા. ત્યારે ગઈકાલે સવારથી જ આકાશમાં વાદળાઓએ જમાવટ કર્યાં બાદ ઝાપટાં સ્વરૂપે અને ઘીમીઘારે વરસાદ શરૂ થયો હતો. અમરેલી શહેરમાં ઘીમીઘારે વરસાદ પડતા રોડ રસ્તાઓ વરસાદી પાણીથી તરબોળ થયા હતા.

બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ બરવાળા, દરેડ, ખાખરીયા, કોટડા, લાઠીના શેખપીપરીયા સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ખાંભા ગીરના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો જેમાં ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, વાંકિયા, નાના વિસાવદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ખાંભા ગીર પંથકમાં આગોતરૂં વાવેતર કરનાર મગફળી અને કપાસના પાકને જીવનદાનમળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

જાફરાબાદ શહેર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.  લાઠીથી લીલીયા રોડ વચ્ચે વરસાદી માહોલ સર્જાતા લાઠીના અકાળા અને લુવારીયા રોડ પર વરસાદ પડયો હતો અમરેલી ફલડ કંટ્રોલરૂમ ખાતે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમીયાન અમરેલીમાં 10 મી.મી., બાબરામાં 13 મી.મી., લાઠીમાં પ મી.મી., લીલીયામાં 26 મી.મી., સાવરકુંડલામાં 7 મી.મી., ખાંભામાં 11 મી.મી., જાફરાબાદમાં 17 મી.મી., રાજુલામાં 40 મી.મી. તથા ધારીમાં ર મી.મી. વરસાદ નોંધાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj