એરપોર્ટ પાસે બીયુ-ફાયર એનઓસી છે કે નહીં?: કોંગ્રેસનો ધગધગતો સવાલ

Saurashtra | Rajkot | 01 July, 2024 | 04:08 PM
કેનોપી તૂટી પડવાની ઘટનામાં જવાબદાર એજન્સીને પેનલ્ટી કરો: નબળા બાંધકામના કારણે બનાવ બન્યો: અધિકારીઓ-સ્ટાફ જવાબ દેતા નથી ત્યારે મુસાફરોએ શું પ્રધાનમંત્રીને ફરિયાદ કરવી: કોંગ્રેસ આગેવાનોએ એરપોર્ટ ડીરેકટરને આપ્યુ આવેદનપત્ર
સાંજ સમાચાર

રાજકોટ તા.1
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ હેઠળ રાજકોટના હીરાસર નજીક બનેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 1400 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થયુ છે ત્યારે ગત શનિવારે એરપોર્ટના ટર્મિનલમાં સામાન્ય વરસાદનાં કેનોપી તુટી પડતા સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગે શહેર કોંગ્રેસ સમીતીનાં પ્રમુખ અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, ગોપાલભાઈ અનડકટ, મેઘજીભાઈ રાઠોડ વિ.એ એરપોર્ટ ડિરેકટરને આવેદનપત્ર આપી 11 જેટલા મુદાઓનો જવાબ આપવા માંગણી કરતા એરપોર્ટનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.

કોંગ્રેસે આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થયું ત્યાંથી જ કંઈક ને કંઈક અજુગતુ બની રહ્યું છે. એરપોર્ટના તંત્રવાહકો પેસેન્જર્સને સુવિધા આપવામા નિષ્ફળ રહ્યા છે એટલું જ નહી પરંતુ સલામતીનો અહેસાસ કરાવવામાં પણ નિષ્ફળ રહ્યાં છે. હિરાસર એરપોર્ટના બેદરકાર તંત્રન કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટ બદનામ થઈ રહ્યું છે. હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બદનામ થઈ જતા મુસાફરો કરી અમદાવાદ એરપોર્ટથી ટ્રાવેલ કરવા લાગ્યા છે.

કેનોપી તુટી પડવાની ઘટના બીજી વખત બની છે, હવે ત્રીજી વખત ન બને તેની તકેદારી દેજો. શું એરપોર્ટનું બાંધકામ જ નબળુ થયુ છે? નહીં તો આવી ઘટનાઓ ન બને! તા.29/06/2024ને શનિવારે કેનોપી તુટી પડવાની દુર્ઘટના અંગે શું તપાસ કરાઈ? કોની સામે પગલા લેવાયા? તેની વિગતો જાહેર કરો. આવી દુર્ઘટના કેમ બની અને તે મામલે કોની જવાબદારી ફિકસ થાય છે તે મુસાફર જનતાના વિશાળ જાહેર હિતમાં સતાવાર પ્રેસ રિલીઝ ઈસ્યુ કરીને જનતાને જણાવશો તેવી રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના સર્વે હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓની માંગણી છે.

આવેદનપત્રમાં વધુમાં 11 જેટલા મુદાઓની રજુઆતમાં એરપોર્ટ ડિરેકટર દિગંત બોરહા મુસાફરોનાં ફોન રિસીવ કરતા નથી ફરિયાદ કોને કરવી? એરપોર્ટના જનરલ મેનેજર (એન્જીનીયરીંગ) મુસાફરોનાં ફોન કેમ ઉપાડતા નથી? તેમને લગતી ફરિયાદ કોને કરવી? હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કેનોપી તૂટી પડવાની ઘટના કેટલી વખત બની? ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટ-વોશ બેસનમાં અવારનવાર પાણી કેમ બંધ થઈ જાય છે? કેનોપી તુટી જવાની દુર્ઘટનામાં કોની સામે શું પગલા લેવાયા?

સાથોસાથ ચાર મહિનામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્રની શું તૈયારી છે? એરપોર્ટનો પ્રિ-મોન્સુન પ્લાન શું છે તેની વિગતો જાહેર કરો; એરપોર્ટ મુસાફરોની સલામતી માટેની એડવાઈઝરીનું પાલન કરે છે કે નહીં? એરપોર્ટમાં જરૂરી સુવિધાઓ કેમ નથી? તેનો ખુલાસો કરો, એરપોર્ટના નબળુ બાંધકામ થયુ છે? એજન્સી સામે શું પગલા લીધા? હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે બીયુ ફાયર એનઓસી છે કે નહી? તેવી વિગતો જાહેર કરવા કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, ગોપાલભાઈ અનડકટ, મેઘજીભાઈ રાઠોડ વિ.એ માંગણી ઉઠાવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj