♦ શનિવારે સમસ્ત પાટીદાર સમાજના બેનર હેઠળ સ્નેહમિલન: સરદારધામના આગેવાનોની ભૂમિકા હોવાની ચર્ચા: અગાઉ મોટા સંગઠને ‘અંતર’ રાખ્યું હોવાનું સૂચક
રાજકોટ, તા.1
રાજકોટ-ગુજરાતમાં લોકસભા ચૂંટણી મતદાનને આડે પુરું એક સપ્તાહ પણ બાકી રહ્યું નથી ત્યારે મુખ્ય હરિફ પક્ષો ભાજપ અને કોંગ્રેસે પ્રચાર પરાકાષ્ટાએ પહોંચાડવા કમ્મર કસી છે. હવે છેલ્લા દિવસોમાં સમાજ પર ‘ફોક્સ’ શરુ કર્યું હોવાનું ચિત્ર છે. રાજકોટમાં આગામી શુક્ર અને શનિવારે બે દિવસમાં બે પાટીદાર સ્નેહમિલન-સંમેલન રાખવામાં આવ્યા છે. હરિફો પક્ષોએ જ તે રાખ્યા હોવાનું સ્પષ્ટ છે.
ચૂંટણી આચાર સંહિતાની છટકબારી શોધીને રાજકીય પક્ષો દ્વારા અવનવા પ્રચાર કાર્યક્રમો કરવામાં આવતા જ હોય છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા છે જ્યારે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી છે.
રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે ધાનાણી લેઉવા પાટીદાર છે. પોતપોતાના સમાજના મતો મેળવવા માટે ઉમેદવારો મથતા હોવાનું કહેવાય જ છે તેવા સમયે રાજકોટમાં તા.3 અને તા.4ના રોજ પાટીદાર સમાજમાં જ બે અલગ-અલગ સંમેલન બોલાવવામાં આવ્યા છે.
તા.3 મેને શુક્રવારે રાત્રે 8.45 વાગ્યે મવડી પાળ રોડ પર ક્રિષ્ના પાર્ટી પ્લોટનું સંમેલન સરદાર સ્વાભિમાન સમિતિના બેનર હેઠળ રાખવામાં આવ્યું છે. નિમંત્રણ પત્રિકામાં માત્ર સમિતિનું જ નામ છે અન્ય કોઇ નામ નથી.
પત્રિકામાં એમ કહેવાયું છે કે, સરદાર પટેલ તથા ભોજલરામબાપાના સીધા વારસદારો એવા પાટીદાર સમાજની સંસ્થા-સંગઠનોની વિચાર ગોષ્ટિ રાખવામાં આવી છે. ‘કાળજુ સિંહનું રાખો, સાચુ કહેવાની હિંમત રાખો, અન્યાય સામે લડ્યા રાખો’ જેવી સરદાર પટેલની વાતને સાચા અર્થમાં ઉજાગર કરવા આ ચિંતન ગોષ્ટિ રાખવામાં આવી છે.
‘સરદાર પટેલ અને ભોજલરામબાપાના સીધા વારસદારો’નો નિમંત્રણપત્રક ખાસ ઉલ્લેખ છે. સ્વાભિમાન સમિતિનું નામ પણ સૂચક છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં સ્વાભિમાનની લડાઇ લડતા હોવાનો જ પ્રચાર કરતાં હોવાનું ઉલ્લેખનીય છે.
બીજી તરફ તા.4ને શનિવારે સાંજે 7 વાગ્યે નવા 150 ફૂટ રોડ પર આવેલા ગોવાણી ફાર્મમાં સમસ્ત પાટીદાર સમાજના બેનર હેઠળ સ્નેહમિલન રાખવામાં આવ્યું છે. તેની આમંત્રણ પત્રિકામાં પણ સમિતિ સિવાય કોઇ નામોલ્લેખ નથી. લોકશાહીના મહાપર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સમસ્ત પાટીદાર સમાજનું આ સ્નેહમિલન હોવાનું જણાવવામાં આવ્યું છે.
પાટીદાર સમાજના સંગઠન ‘સરદારધામ’ના આગેવાનોનું આયોજન હોવાની ચર્ચા છે. સરદારધામમાં લેઉવા તથા કડવા એમ બન્ને સમાજના આગેવાનો સક્રિય હોવાનું કહેવાય છે. જો કે, એક મોટાવર્ગે જે તે વખતે અંતર રાખ્યું હતું તે સૂચક છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy