લોક હૃદૃય સમ્રાટ નરેન્દ્ર મોદીને સત્કારવા જામનગરમાં જબરો ઉત્સાહ

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 02 May, 2024 | 03:18 PM
જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં યોજાયેલ વિશાળ જનસભાને સંબોધવા સાંજે ખાસ જામનગર આવતા જનનાયક નરેન્દ્ર મોદી: ટીમ ભાજપ દ્વારા વડાપ્રધાનના સત્કાર માટે તડામાર તૈયારી: 60 હજાર લોકો સાંભળશે મોદીના મનની વાત: સભાને સફળ બનાવવા જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી: મોદીની સભાથી ભાજપ તરફી લોકજુવાળમાં થઇ શકે છે મોટો વધારો
સાંજ સમાચાર

જામનગર તા.2

જેમના નેતૃત્વમાં દેશ વિકાસમાં જેટગતિએ આગળ વધી રહ્યો છે તેવા વિકાસ પુરૂષ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હાલારની ખમીરવંતી ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન મોદીને અંતરના ઉમળકાથી સત્કારવા હાલારના લોકોમાં પણ અનેરો ઉન્માદ જોવા મળી રહ્યો છે. આજે સાંજે જામનગરના આંગણે અને પ્રદર્શન ગ્રાઉન્ડ પ્રાંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જનસભા સંબધશે. જેને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વિશાળ ડોમમાં એકીસાથે 60,000 લોકો બેસી શકે તેવી જબરદસ્ત વ્યવસ્થા ઉભી કરાઇ છે અને જામનગરના શહેરી, ગલ્લીઓ અને મુખ્ય માર્ગો પર ભાજપની ઝંડીઓ લગાવી કેસરિયો માહોલ ઉભો કરાયો છે. વડાપ્રધાનના આગમનને લઇને જામનગરમાં જન-જનમાં જબરો ઉત્સવાહ વર્તાય રહ્યો છે.

વૈશ્ર્વિક નેતા અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી વતન ગુજરાતમાં છે. લોકસભાની ચૂંટણીને લઇ તેઓ જુદી જુદી જગ્યાએ સભાઓ સંબોધી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે નરેન્દ્રભાઇ મોદી પાંચ જેટલી જનસભાઓને સંબોધી ભાજપ તરફી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરશે. ત્યારે જામનગરમાં સાંજે ચાર વાગ્યે વાડપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે અને ત્યારબાદ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પધારી જાજરમાન જનસભાને સંબોધન કરશે.

આ વેળાએ વડાપ્રધાનને સાંભળવા માટે જામનગર સંસદીય ક્ષેત્રની સાત વિધાનસભા જેમાં જામનગર શહેરની બે તેમજ જિલ્લાની ત્રણ અને દેવભૂમિ દ્વારકાની વિધાનસભાના આગેવાનો, ભાજપના કાર્યકરો, સમર્થકો અને લોકો જોડાશે. વધુમાં પોરબંદર અને કુતિયાણાની વિધાનસભા સહિત નવ વિધાનસભાના આગેવાનો આજે જામનગરના મહેમાન બનશે. આ માટે વ્યવસ્થામાં કંઇ ઉણપ ન રહે તે માટે ભાજપનો એક-એક કાર્યકર, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ લોકો કામગીરીમાં જોતર્યા છે.

વડાપ્રધાનને સત્કારવા માટે જામનગરમાં વિશાળ ડોમ ઉભો કરાયો છે. જેમાં ખુરશી-સોફા ઉપરાંત 60 હજાર લોકો આરામથી બેસી શકે તે અંગેની વ્યવસ્થા ઉભી કરાઇ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સવા બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જે વડાપ્રધાનના રૂટ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળ પર સુરક્ષાનો મોરચો સંભાળશે. વડાપ્રધાનના આગમન અગાઉ ગઇકાલે વડાપ્રધાનના કોન-વે નું રિહર્સલ કરાયું હતું. જેમાં સુરક્ષા બંદોબસ્ત સાથે વિશાળ ગાડીઓનો કાફલો જોડાયો હતો. આ ઉપરાંત જામનગરના માર્ગ ઉપર ભાજપની ઝંડીઓ અને પતાકાઓ લગાડી કેસરિયો માહોલ ઉભો કરાયો છે.
 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj