જામનગર લોકસભા બેઠક ઉપર ગુજરાતની અન્ય 24 બેઠકોની સાથે ગઇકાલે યોજાયેલા મતદાનમાં 57.67 ટકા મતદાન યોજાયું છે. આ ચૂંટણીમાં જ્ઞાતિવાદે અજગરી ભરડો લીધો હતો. જ્ઞાતિ સમીકરણો અને રાજકીય પક્ષોની સામસામી મત મેળવવાની ગોઠવણો જોતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વચ્ચેની મતોની ખાઇ એવી રહેશે કે, જેમાં ખાસ કરીને ભાજપ માટે જીતનો મદાર જામનગર શહેર ઉપર રહેશે.
જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર બેઠક ઉપર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા અને ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર જ્ઞાતિ સમીકરણોના આધારે મતદાન કરાવવા બન્ને પક્ષે પ્રયાસ થયા હતા. ભાજપ માટે થોડી ચિંતાનો વિષય એ છે કે, દ્વારકા અને ખંભાળિયા વિધાનસભા બેઠકનું મતદાન અપેક્ષા કરતા ઓછું થયું છે.
જયારે જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસની અપેક્ષા મુજબ મતદાનની ટકાવારી જોવા મળે છે. આથી ભાજપ માટે જામનગર લોકસભા બેઠકની જીતનો આધાર જામનગર શહેરની બે વિધાનસભા બેઠકો ઉપર રહી શકે છે. અત્રે નોંધનીય છે કે, 2019ની ચૂંટણીમાં જામનગર શહેરમાંથી ભાજપને કુલ એક લાખ જેટલી જંગી લીડ મળી હતી. એટલુ જ નહીં જામનગર લોકસભા બેઠકની સાતેય વિધાનસભા બેઠકો ઉપર 2019ની ચૂંટણીમાં ભાજપની લીડ હતી.
પરંતુ આ વખતે ઉમેદવારની પસંદગીના જ્ઞાતિ સમીકરણ ઉપરાંત ક્ષત્રિય આંદોલનને લીધે પરિણામ અંગે ભારે સસ્પેન્સ જોવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy