◙ ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસે 4 કલાક ચાલેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા: નાયડુ-નીતીશ સહિતના નેતાઓની હાજરી
◙ એનડીએ સંસદીય પક્ષની ફરી બેઠક: પ્રધાનમંડળના લીસ્ટને આખરી સ્વરૂપ અપાશે
નવી દિલ્હી,તા.8
લોકસભા ચૂંટણી પરિણામો બાદ દેશમાં ત્રીજી વખત એનડીએની સરકાર રચાવાની છે. આવતીકાલે સાંજે નવી સરકારની શપથવિધિ સમારોહ યોજાશે. વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી તથા ભાજપ-સાથીપક્ષોના નેતાઓ પ્રધાનપદે શપથગ્રહણ કરશે. કેબીનેટ રચના માટેની ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવી હતી. મોટા સાથી પક્ષોને એક કેબીનેટ મંત્રાલય તથા બે-ત્રણ રાજયસભાના મંત્રીપદ મળશે જયારે નાનાપક્ષોને એક-એક મંત્રીપદ આપવામાં આવશે.
એનડીએની નવી સરકાર આવતીકાલે સાંજે ભવ્ય સમારોહમાં શપથ ગ્રહણ કરશે. દુનિયાના અનેક દેશોના વડાઓ તેમાં સામેલ થશે. ઉપરાંત સફાઈ કામદારો, ટ્રાન્જેન્ડરો તથા કામદારોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે. 8000થી વધુ મહેમાનો સામેલ થવાની સંભાવના છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી હતી એટલે એકલા હાથે બહુમતી મળી શકી નથી ત્યારે ચંદ્રાબાબુ નાયડુની 16, નીતીશકુમારના જેડીયુની 12, એકનાથ શિંદેની શિવસેનાની સાત તથા ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીની પાંચ બેઠકો તથા અન્ય નાના સહયોગી પક્ષોના સમર્થનના જોરે બહુમતી હાંસલ કરીને સરકારનું ગઠન કર્યુ છે.
નવી સરકારની શપથવિધિ પુર્વે પ્રધાનમંડળની રચના વિશે વાટાઘાટો માટે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને ચાર કલાક બેઠક ચાલી હતી. એનડીએના સીનીયર નેતા સામેલ થયા હતા. આજે ફરી વખત એનડીએ સંસદીયદળની બેઠક થશે તેમાં પ્રધાનમંડળના લીસ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપને સાથીપક્ષોના સમર્થનની સરકાર ચલાવવાની હોવાથી કેબીનેટ રચનામાં સાથી નેતાઓના દબાણને સ્વીકારીને બાંધછોડ કરવી પડે તે સ્પષ્ટ છે. સૂત્રોના કહેવા પ્રમાણે ટીડીપી, જેડીયુ જેવા મોટા પક્ષને એક-એક કેબીનેટ મંત્રાલય તથા બે-ત્રણ રાજયકક્ષાના મંત્રાલયો આપવામાં આવે તેમ મનાય છે. નાના પક્ષોને એક-એક મંત્રીપદ આપવામાં આવી શકે છે. જો કે, શિવસેના તથા લોક જનશક્તિ પાર્ટી દ્વારા વધુ મંત્રીપદ માંગવામાં આવી રહ્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે ચંદ્રાબાબુ નાયડુ તથા નીતીશકુમારે સંપૂર્ણ સાથ- સહકારથી મોદીના નેતૃત્વમાં કામ કરવાનું જાહેર કર્યુ જ છે. અગાઉ એમ કહેવાતુ હતું કે નીતીશકુમારે રેલ્વે-ગ્રામ વિકાસ સહિતના ત્રણ મહત્વના મંત્રાલયો માંગવામાં આવ્યા હતા. ટીડીપી દ્વારા પણ લોકસભાના અધ્યક્ષપદ તથા મોટા મંત્રાલયોની માંગ કરવામાં આવી હતી.
ચિરાગ પાસવાને બે મંત્રીપદ માંગ્યા હતા. બિહારથી જીતેલા જીતનરામ માંઝીએ પણ મંત્રીપદ માંગ્યુ હતું. કાલે કેબીનેટની રચના પુર્વે બેઠકોનો ધમધમાટ છે. સાથીપક્ષોને કેટલા મંત્રીપદ અપાય છે અને કયા-કયા ખાતા આપવામાં આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.
શપથ સમારોહમાં બહુસ્તરીય સુરક્ષા: દિલ્હીમાં હાઈએલર્ટ: 2500 જવાનો તૈનાત
નવી દિલ્હી,તા.8
વડાપ્રધાન મોદીનાં 9મી જુને શપથ સમારોહ માટે બહૂ સ્તરીય સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધસૈનિક દળોની પાંચ કંપની, એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપરને તૈનાત કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગણમાન્ય હસ્તીઓને આમંત્રીત કરવાને લઈને રાષ્ટ્રીય રાજધાની હાઈએલર્ટ પર રહેશે. તેમની હોટલથી સમારોહ સ્થળ જવા આવવા માટે નિર્દિષ્ટ માર્ગોની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરની લીલા, તાજ આઈટીસી મૌયા;, કલેરીજેસ, અને ઓબેરોય જેવી હોટેલોને અગાઉથી જ સુરક્ષાનાં ઘેરામાં લઈ લેવાઈ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જોકે આ આયોજન રાષ્ટ્રપતિ ભવનની અંદર થવાનું છે એટલે પરિસરની અંદર અને બહાર ત્રણ સ્તરની સુરક્ષા હશે.
બહારના ઘેરામાં પોલીસના જવાન તૈનાત રહેશે.ત્યારબાદ અર્ધ સૈનિક દળનાં જવાન અને અંદરનાં ઘેરામાં રાષ્ટ્રપતિ ભવનની આંતરીક સુરક્ષાનાં જવાન તૈનાત રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે અર્ધ સૈનિક દળો અને દિલ્હીની સશસ્ત્ર પોલીસનાં જવાનોની પાંચ કંપની સહીત લગભગ 2500 પોલીસ કર્મીઓ કાર્યક્રમનાં સ્થળે તૈનાત રહેશે.
આવતીકાલે મંત્રીમંડળમાં શપથ લેનાર મંત્રીઓના સંભવિત નામ
અમિત શાહ, એસ.જયશંકર, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, શિવરાજ ચૌહાણ, જે.પી.નડ્ડા, નિર્મલા સીતારામન, સી.આર.પાટીલ, ધવલ પટેલ, પૂનમ માડમ, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, ચિરાગ પાસવાન, સુનીલ તત્કરે અથવા પ્રફુલ પટેલ, જીતેન રામ માંઝી, JDU ના ત્રણ તથા TDP ના ત્રણ મંત્રીઓ, જન સેનાના એક, રાષ્ટ્રીય લોક દળના એક, અનુપ્રિયા પટેલ (અપના દળ), શિવ સેના બે મંત્રીઓ, સુરેશ ગોપી (કેરળ).
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy