શિક્ષણથી માંડીને સંરક્ષણ તથા અર્થતંત્રથી માંડીને કૃષિ સુધીના મુદ્દાઓનો ઉલ્લેખ

સરકારની નીતિ, નિયત, નિષ્ઠા પર પ્રજાને વિશ્વાસ : દ્રૌપદી મૂર્મૂ

India | 27 June, 2024 | 03:50 PM
♦ સરકારે દેશને ‘વર્લ્ડ લીડર’ બનાવ્યો: નીટકાંડના આરોપીઓ નહીં બચે: બજેટમાં ઐતિહાસિક પગલા હશે: વિકાસની ગેરંટી સાથે કૃષિ ક્ષેત્ર - હાઇવે નિર્માણ - રોજગાર પર ફોક્સ
સાંજ સમાચાર

♦ સંસદના સંયુક્ત સત્રને સંબોધનમાં રાષ્ટ્રપતિએ પણ કટોકટીનો ઉલ્લેખ કર્યો - બંધારણ પર હુમલો થયાનો પુરાવો

નવી દિલ્હી, તા.27

લોકસભાની સાથોસાથ રાજ્યસભાના સત્રનો પણ આજથી પ્રારંભ થવા સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. 50 વર્ષ પૂર્વેની કટોકટી બંધારણ પર હુમલાની સાબીતી હોવાનો ઉલ્લેખ કરીને તેઓએ શિક્ષણથી લઇને સંરક્ષણ સુધીના મુદ્ાઓને આવરી લીધા હતા.

દેશમાં ત્રીજી વખત એનડીએની સરકાર રચાયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ પ્રથમ વખત સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. પ્રજાનો વિશ્વાસ જીતીને સંસદ સુધી સભ્યો પહોંચ્યા છે ત્યારે રાષ્ટ્ર પ્રથમથી ભાવના સાથે કર્તવ્ય પાલન કરવાનો ભરોસો દર્શાવ્યો હતો. પૂર્વોત્તર રાજ્યોથી માંડીને અર્થતંત્ર તથા નીટ પેપરલીકથી માંડીને કટોકટી સુધીના મુદા ઉઠાવ્યા હતા.

તેઓએ દેશમાં 50 વર્ષ પૂર્વે સ્વ. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં લદાયેલી કટોકટીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કટોકટીકાળ ભારતીય બંધારણ પર હુમલાનો સીધો પુરાવો છે.

સરકારની નીતિ, નિયત અને નિષ્ઠા પર દેશની પ્રજાએ ભરોસો મૂક્યો છે. સમાજના તમામ વર્ગ-શ્રેણીના વર્ગો માટે સરકારે યોજનાઓ લાગૂ કરી છે. રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સંકલ્પ સાથે ભારત મજબૂત બન્યું છે અને દુનિયામાં લીડર તરીકેની ઓળખ મેળવી છે. સીએએ કાનૂન અંતર્ગત શરણાર્થીઓને નાગરિકતા આપવાનું શરૂ કર્યું છે જેથી તેઓનું જીવન સમૃધ્ધ બની શકે.

આર્થિક વિશે તેઓએ કહ્યું કે, 2021 થી 2024 સુધી સરેરાશ આઠ ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે. આ દરમ્યાન કોરોનાકાળનો સામનો પણ કર્યો હતો. સરકાર મેન્યુફેક્ચરીંગ, સર્વિસ અને કૃષિ જેવા ત્રણેય મહત્વના ક્ષેત્રોને પર્યાપ્ત મહત્વ આપે છે.

આગામી મહિને રજુ થનાર બજેટ વિશે તેઓએ કહ્યું કે નવી સરકારનું પ્રથમ બજેટ હતું. દુરગામી નીતિ તથા ભવિષ્યના દ્રષ્ટિકોણને દર્શાવાશે અને તેમાં આર્થિક સામાજીક સાથે ઐતિહાસિક પગલાઓ પણ જોવા મળશે. આર્થિક સુધારા તથા પરિવર્તનના સંકલ્પ થકી ભારત દુનિયાની સૌથી ઝડપે વિકસતી અર્થ વ્યવસ્થા બની છે.

કૃષિક્ષેત્ર-કિસાનો વિશે તેમણે કહ્યું કે પીએમ સમ્માન નિધિ હેઠળ 3.20 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ખરીફ પાકોના ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે. સપ્લાય ચેઇન મજબૂત કરવામાં આવી છે.

તેઓએ સંબોધનમાં ક્લાયમેટ ચેન્જનો પણ ઉલ્લેખ કર્યો હતો. આવનારો સમય ગ્રીનક્રાંતિનો યુગ હશે, સરકાર ગ્રીન એનર્જી અને ગ્રીન મોબીલીટીના મોટા ટારગેટ પર કામ કરી રહી છે. પ્રદૂષણ-સ્વચ્છ પર જોર આપવામાં આવી રહ્યું છે.

બદલાતા યુગમાં વિમાની મુસાફરો વધ્યા છે. 2014માં 209 વિમાની રૂટ હતા તે 605 થયા છે. નાના શહેરોને વિમાની સુવિધા મળી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગોની સંખ્યા બમણી ઝડપે વધી રહી છે.

70 વર્ષથી વધુની વયના વૃધ્ધોને પણ આયુષ્યમાન યોજનાનો લાભ: રાષ્ટ્રપતિનું એલાન
સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ આયુષ્યમાન યોજના વિશે મોટું એલાન કર્યું હતું. તેઓએ કહ્યું કે 70 વર્ષથી વધુની ઉંમરના વૃધ્ધોને પણ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. લોકસભાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપ દ્વારા તેનું વચન આપવામાં આવ્યું હતું.

આ યોજના હેઠળ 70 વર્ષથી વધુની વયના લોકોને પણ મફત સારવારનો લાભ મળશે. આ યોજના હેઠળ પાંચ લાખ સુધીની સારવાર મફત મળે છે. 70 વર્ષથી વધુની વયના વૃધ્ધોને પણ તેનો લાભ મળશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj