ગાંધીનગર, તા. 27
કેન્દ્ર સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી દ્વારા ફૂડ સેક્ટરમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ, રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કાલથી રાજકોટ સહિતના રાજયના તમામ મહાનગરો સહિતના વિસ્તારમાં ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન તત્કાલ આપવા માટેના પાયલોટ પ્રોજેકટનો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા દિલ્હીથી પ્રારંભ કરાવશે. ખોટા દસ્તાવેજોથી નોંધણી કરાવનાર વેપારીને રૂા. 10 લાખ સુધીના દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે.
આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે નવા ઉપક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત ચાર રાજ્યોમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પાઈલોટ પ્રોજેક્ટનો શુભારંભ કાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા દ્વારા દિલ્હી ખાતેથી કરાવવામાં આવશે.
આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓએ યોગ્ય દસ્તાવેજો સાથે www.foscos.fssai.gov.in પર ઓનલાઈન અરજી કરી, ફી ચૂકવવાની રહેશે. ફી ચૂકવ્યા પછી GST અને આધાર સાથે વેરિફીકેશન થયા બાદ વેપારીઓને તુરંત જ ફૂડ લાઇસન્સ, રજિસ્ટ્રેશન ઈશ્યુ કરવામાં આવશે. ગુજરાતમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તત્કાલ લાયસન્સ, રજિસ્ટ્રેશન માટે કેમ્પ યોજાશે.
આ નવી પ્રક્રિયા ફૂડ લાયસન્સ, રજીસ્ટ્રેશનને તુરંત જ મેળવવાની તક આપે છે, જે મંજૂરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો લાવશે. આ વ્યવસ્થાથી ફૂડ બિઝનેસને તેમની વ્યવસાયિક કામગીરી શરૂ કરવા માટે ઝડપથી સક્ષમ બનાવશે અને સાથે જ તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. ઉપરાંત સરકારની કામગીરીનું ભારણ ઘટશે, સમયનો બચાવ થશે અને સંપૂર્ણ પ્રક્રિયા સંકલિત અને પારદર્શક બનશે.
આ નવી પદ્ધતિમાં ખાદ્યપદાર્થના વેપારકર્તાઓએ નિયત દસ્તાવેજો સાથે જ અરજી કરવાની રહેશે. ખોટા દસ્તાવેજો દર્શાવી આ પ્રકારે લાયસન્સ, રજીસ્ટ્રેશન મેળવાવાના પ્રયાસો કરતા વેપારીઓને રૂ.10 લાખ સુધીના દંડની કાર્યવાહી કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy