અમદાવાદ,તા.27
ઈઝ ઓફ ડુઈંગના ભાગરૂપે વેપાર-ઉદ્યોગકારો માટે જીએસટી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી હોવા છતાં ટેકસચોરીનો પડકાર હજુ દુર થતો નથી. જીએસટી લાગુ થયાને છ વર્ષ કરતા વધુનો સમય થઈ ગયો છે. સિસ્ટમ હજુ ફુલપ્રુફ બની શકી ન હોય તેમ ટેકસચોરીમાં વર્ષોવર્ષ વધારો જ થઈ રહ્યો છે.
વન નેશન વન ટેકસ અંતર્ગત લાગુ થયેલા જીએસટીને સાત વર્ષ થવા આવ્યા છે. આ દરમ્યાન ગુજરાતમાં 94761 કરોડના બોગસ બીલીંગ મારફત 11613 કરોડની ટેકસચોરીનો પર્દાફાશ થયો છે.
રાજય જીએસટી વિભાગના 2017-18થી 2014-15ના નાણાકીય વર્ષના ડેટા એવુ સૂચવે છે કે બોગસ બીલીંગ અને ટેકસચોરીના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો છે. વિભાગ દ્વારા ટેકસચોરીના માસ્ટર માઈન્ડ સહિત 112 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બોગસ બીલીંગ-ટેકસ કૌભાંડ રોકવા માટે નિયમોમાં શ્રેણીબદ્ધ સુધારા કરવામાં આવ્યા હોવા છતાં બોગસ બીલીંગ કૌભાંડમાં કોઈ રોક આવતી નથી. પરિણામે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. ટેકસ વિભાગના જ સૂત્રોના કહેવા પ્રમાણે 11613 કરોડની ટેકસ ચોરીનો પર્દાફાશ કરાયો તેમાંથી માત્ર પાંચ ટકા અર્થાત 5.50 કરોડ જેવી રકમની વસુલાત થઈ શકી છે.
ગત નાણાકીય વર્ષમાં જ બોગસ બીલીંગના 2719 કેસો પાડવામાં આવ્યા હતા. ટેકસચોરી માટે મોટાભાગે બનાવટી રજીસ્ટ્રેશન સાથે બોગસ પેઢીઓ રચવામાં આવતી હોય છે. આવા કેસોની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે.
આ વર્ષમાં 22680 કરોડનુ બોગસ બીલીંગ ટર્નઓવર પકડવામાં આવ્યુ હતું અને તેમાં 3730 કરોડની ટેકસચોરી થઈ હતી. આગલા વર્ષની સરખામણીએ બોગસ બીલીંગ આધારિત ટર્નઓવરમાં 37 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ ટેકસચોરી 30 ટકા વધી ગઈ હતી.
બોગસ બીલીંગ કૌભાંડો પકડવા સેન્ટ્રલ તથા સ્ટેટ જીએસટી વિભાગે સંયુક્ત અભિયાન ચલાવ્યુ છે. કૌભાંડો રોકવા માટે નવા જીએસટી રજીસ્ટ્રેશન માટે બાયોમેટ્રીક ઓળખ ફરજીયાત કરતો પાયલોટ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો હતો તેને કારણે રાજયમાં નવા રજીસ્ટ્રેશનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગુજરાતમાં ટેકસ કૌભાંડો રોકવા માટે શ્રેણીબદ્ધ કદમ ઉઠાવવામાં આવ્યા છે અને તેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવામાં આવી છે. ગેરકાયદે રજીસ્ટ્રેશન મેળવનારાઓની ઓળખ માટે પણ ખાસ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy