(મેહુલ સોની)
પાલીતાણા તા.3
પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં પ્લોટના માલીકોએ બાંધકામ કરતા પહેલા ઓનલાઈન બાંધકામ મંજરી લેવાની હોય છે. આવી મંજુરી મેળવ્યા પછી નગરપાલીકાના નિયમ વિરૂધ્ધ બાંધકામો થઈ રહ્યા છે. નગરપાલીકાએ ત્રણ માળની બાંધકામની મંજુરી આપી હોય પરંતુ સ્થળ ઉપર પાંચ માળની બિલ્ડીંગો ખડકાઈ જાય છે. આવા ગેરકાયદે બાંધકામો હટાવવાની જવાબદારી નગરપાલીકાની છે. પરંતુ પાલીકા તંત્ર પગલા ન લેતો પ્રાદેશિક નિયામક દ્વારા કોઈ પગલા લઈ શકાય કે કેમ?
શહેરમાં જુદી જુદી જગ્યાએ ગેરકાયદે બાંધકામો સામે કોઈ પગલા લેવામાં આવતા નથી માત્રને માત્ર કહેવા ખાતર નોટીસો આપીને ગેરકાયદે બાંધકામો દુર કરવાની ફકત ચીમકીઓ આપી કુલડીમાં ગોળ ભાંગવામાં આવતો હોવાની ચર્ચા નગરજનોમાં થઈ રહી છે. માત્ર નોટીસ અને ચીમકીઓ આપીને સંતોષ માનવાની જગ્યાએ તંત્રએ કડક હાથે નકકર કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠવા પામી છે.
તળેટી વિસ્તારમાં અનેક ધર્મશાળાના બાંધકામ નિયમ વિરૂધ્ધ થઈ રહ્યા છે. નિયમ મુજબની બાંધકામની માર્જીનની જગ્યા પણ છોડવામાં આવતી નથી. આવા બાંધકામો નગરપાલીકા અધિનિયમ અને ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. પ્લોટ કોઈકના નામે અને બાંધકામની પરમીશન બીજાને નામે હોય તેવું પણ બની રહેલ છે.
પાલીતાણા શહેરમાં નિયમ વિરૂધ્ધ થતા બાંધકામો સામે પગલા લેવા ચીફ ઓફીસર તેમજ પ્રાદેશિક કમીશ્નરને રજૂઆત કરેલ છે. મેઈન બજારમાં, નાની શાક માર્કેટ પાસે નિયમ વિરૂધ્ધ દુકાનોનું બાંધકામ થઈ રહેલ છે. તળેટી રોડ ઉપર અનેક મોટા મોટા બાંધકામો નિયમ વિરૂધ્ધ થયેલા છે અને થઈ રહ્યા છે. અમુક કિસ્સામાં તો વગર મંજુરીએ બાંધકામ થઈ રહ્યા છે.
ગેરકાયદે બાંધકામો કરનારાઓને નોટીસો આપવામાં આવેલ છે. નગરપાલીકામાં પુરતો સ્ટાફ નથી આથી કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગેરકાયદે બાંધકામો અટકાવવાની કામગીરી કરીએ તો નગરપાલીકાના રોજીંદા કામો રખડી પડે તેમ તંત્રનું કહેવું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy