રામનાથપરા પોલીસ લાઈનમાં બે પોલીસ પરિવાર વચ્ચે બઘડાટી: સામસામી ફરિયાદ

Crime | Rajkot | 17 June, 2024 | 04:28 PM
ઘરના દરવાજા પાસે કચરો ફેંકવા બાબતે થયેલી માથાકૂટ: મહિલા કોન્સ્ટેબલને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી દરવાજા પર તલવાર ઝીંકતા માતા-પુત્ર સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો: સામા પક્ષે માર મારી ધમકી આપ્યાની મહિલા કોન્સ્ટેબલ સામે પોલીસ મેનની માતાએ વળતી ફરિયાદ નોંધાવી: એ. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ.તા.17

રામનાથપરા પોલીસ પોલીસ લાઈન ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા બે પોલીસ પરીવાર વચ્ચે  કચરો ફેંકવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મહિલા કોન્સ્ટેબલના દરવાજામાં તલવારના ઘા ઝીકી મારમારી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહેતા  માતા-પુત્ર ઉપર એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જયારે સામાપક્ષે મહિલા કોન્સ્ટેબલ સામે પણ મારમારી ધમકી આપ્યા અંગેનો ગુનો એ ડિવિઝન પોલીસે નોંધ્યો છે.

બનાવની વિગત મુજબ રામનાથપરામાં પોલીસ લાઈન ત્રણ માળિયામાં બ્લોક નં બી-5 માં ક્વાર્ટર નં-57 માં રહેતા અને યુનિવર્સીટી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મૂળ મેંદરડાના નાના ખોડિયાર ગામના વતની હંસાબેન કાળાભાઇ દાફડા (ઉ.વ.32) એ એ. ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાજુના ક્વાર્ટર નંબર.59 માં રહેતા યશોદાબા જયેન્દ્રસિંહ ઝાલા અને તેનો પુત્ર મયુરસિંહ જયેન્દ્રસિંહ ઝાલાના નામ આપ્યા છે. 

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના ક્વાર્ટરના દરવાજા પાસે કેટલાક સમયથી બાજુના ક્વાર્ટરમાં રહેતા પડોશી પરિવાર કચરો ફેંકતા હોઈ આ બાબતે ગઈકાલે તેમના ઘરે સમજાવવા જતા યશોદાબા અને તેમનો પુત્ર મયુરસિંહ તેણી સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝગડો કરવા લાગ્યા હતા તેમને ગાળો આપવાની ના પાડતા  જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઘરના દરવાજામાં તલવારના ઘા ઝીકી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે મહિલા કોન્સ્ટેબલની ફરિયાદ પરથી યશોદાબા અને તેના પુત્ર મયુરસિંહ ઝાલા સામે એટ્રોસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. 

જયારે સામા પક્ષે ક્વાર્ટર નં-59 માં રહેતા સુશીલાબા મદારસિંહ ઝાલા (ઉ.વ.65) એ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હંસાબેન દાફડા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ 50 વર્ષથી રામનાથપરા પોલીસ લાઈનમાં રહે છે. પતિ પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેમના ચારેય દીકરા પણ પોલીસમાં જ ફરજ બજાવે છે. ગઈકાલે તે ઘરે હતી ત્યારે પડોશી હંસાબેન ઘરે આવી પૌત્રી યશોદાબાને કહેવા લાગ્યા હતા કે, તું કેમ અમારા ઘરના દરવાજા પાસે કચરો નાખે છે. તમે બહુ ચગી હાલ્યા છો, હવે તમે અહીં કેમ રહો છો, એ હુ જોવ છું, તમે મનમાની કરો છો તમારા વિરુધ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી પૌત્રી સાથે ઝગડો કરી મારામારી કરી હતી. 

જેમાં ફરિયાદીને પણ ધક્કો મારતા તેઓ પડી ગયાં હતાં અને ઇજા થઇ હતી. દરમિયાન દેકારો થતા પૌત્રીએ મયુરસિંહને ફોન કરી બોલવતા એ આવ્યો હતો. બાદમાં હંસાબેન અને તેનો પતિ પોતાના ક્વાર્ટરમાં ચાલ્યા ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મહિલા કોન્સ્ટેબલ હંસાબેન સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ કચરો નાખવા મામલે રામનાથપરા લાઈનમાં મારામારીના બનાવો બનવા પામ્યાં છે

રાજકોટ. તા.17
રામનાથપરા પોલીસ લાઈનમાં અગાઉ પણ કચરો નાંખવા મામલે જ બંને પરીવાર વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે પણ સામસામાં થયેલ હુમલામાં ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવા પડ્યા હતાં. બાદમાં સમાધાન થઈ ગયાની વાત સામે આવી હતી. બાદમાં ફરીવાર ઘર પાસે કચરો નાંખવા મામલે મારામારી થતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj