અમદાવાદ,તા.17
દેશની જુદી જુદી યુનિવર્સિટીઓમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જે તે યુનિવર્સિટી કે સંલગ્ન કોલેજમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો યુનિવર્સિટીઓ ફી પરત આપતી નથી. આ સ્થિતિમાં વર્ષ 2024-25માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પૈકી કોઈ 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવે તો તમામ ફી પરત આપવાની રહેશે.
આ સિવાય 31મી ઓકટોબર સુધીમાં પ્રવેશ રદ કરાવે તો માત્ર રૂા.1 હજાર સુધી કાપીને બાકીની ફી પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. યુજીસી દ્વારા કરવામાં આવેલા આ આદેશ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને લાગુ પડશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
ધો.12ના પરિણામ બાદ હાલમાં દરેક રાજયોમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની જુદા જુદા કોર્સની કોલેજમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યુજીસી) સુધી એવી ફરિયાદો પહોંચી હતી કે, મોટાભાગની કોલેજો કે યુનિવર્સિટીઓ એક વખત વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા પછી જો કોઈ સ્થિતિમાં વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તો યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓની ફી પરત આપતી નથી અથવા તો મોટાભાગની રકમ કાપ્યા પછી સામાન્ય રકમ જ પરત આપતી હોય છે.
યુજીસી સમક્ષ પહોંચેલી ફરિયાદના અનુસંધાનમાં તાજેતરમાં યુજીસીની મળેલી બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે કોઈપણ વિદ્યાર્થીઓ એક વખત પ્રવેશ લીધા પછી નિર્ધારિત સમયમાં પ્રવેશ રદ કરાવે તો તેમને સંપૂર્ણ ફી પરત મળવી જરૂરી છે. આ માટે યુજીસી દ્વારા સતાવાર પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે.
યુજીસીએ કરેલા આદેશ પ્રમાણે ચાલુ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પૈકી કોઈ વિદ્યાર્થી 30મી સપ્ટેમ્બર પહેલા પ્રવેશ લઈને રદ કરાવે તો તેણે ભરેલી તમામ ફી પરત આપવાની રહેશે.
આ ઉપરાંત 30 સપ્ટેમ્બર પછી એટલે કે 31મી ઓકટોબર સુધીમાં જો કોઈ વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો માત્ર રૂા.1 હજાર કાપીને બાકી રહેતી તમામ ફી પરત કરવાની રહેશે. દેશની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને આ નિયમ લાગુ પડશે તેવી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે.
મહત્વની વાત એ કે, 31 ઓકટોબર સુધીમાં કેવી રીતે ફી પરત આપવી તેની સ્પષ્ટતા કર્યા બાદ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, આ સમયમર્યાદા પછી જો કોઈ ફી અંગે વિવાદ ઉભો થાય તો યુજીસી દ્વારા અગાઉ ઓકટોબર 2018માં ફી રીફંડ અંગે કરાયેલા નિયમો લાગુ કરવામાં આવશે.
પ્રવેશની છેલ્લા તારીખ પહેલા 15 દિવસ સુધીમાં 100 ટકા રીફંડ મળશે. આ ઉપરાંત 15 દિવસથી પછી અને 30 દિવસથી અંદર 80 ટકા અને 30 દિવસ પછી પ્રવેશ રદ કરાવે તો 50 ટકા ફી પરત આપવાની રહેશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy