ગાંધીનગર, તા.17
લોકસભા ચૂંટણી-2024ના પરિણામો જાહેર થઇ ગયા છે અને દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએ સરકારે શાસન ધૂરા સંભાળી છે. પરંતુ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભાજપ તેના લક્ષ્યાંકને પાર પાડવામાં સફળ રહ્યો નથી તેના પર હવે દરેક રાજ્યમાં વિશ્લેષણ માટે મંથન બેઠક યોજાનાર છે.
તેના ભાગરૂપે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ તેની સાથે યોજાયેલી વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો પર પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આજે મંત્રી નિવાસ ખાતે પૂરા દિવસની બેઠક શરૂ થઇ છે.
રાષ્ટ્રીય સ્તરે ભાજપ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અબ કી બાર ફીર મોદી સરકાર અને 400 પારના નારા સાથે લોકસભા ચૂંટણી જંગમાં ઉતર્યો હતો. ગુજરાતમાં ભાજપની ગણતરી ખોટી પડી છે. ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો જીતવાથી એક બેઠક ચૂક્યું છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટાયા છે અને ભાજપના રેખાબેન ચૌધરીને નજીવા 30 હજાર જેટલા મતથી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ પાટણ, જામનગર, ભરૂચ, સાબરકાંઠા જેવી બેઠકો પર પણ વત્તા ઓછા અંશે પક્ષ વિરોધી પ્રવૃત્તિો થઇ હતી. આને કારણે લીડમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે.
ભાજપ પ્રમુખ પાટીલે તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક કાર્યકરો સમક્ષ મૂક્યો હતો અને તે મુજબ રણનીતિ માટે શ્રેણીબધ્ધ બેઠકો યોજી હતી. આમ છતાંય તેને પાર પાડવામાં સફળ થયા નથી એટલે પાટીલે આ અપયશ પોતાનાશીરે લીધો છે.
શનિવારે નવસારી-સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાટીલે કહ્યું કે, મારામાં ક્યાંક કચાસ રહી ગઇ હશે એટલે આ હારની જવાબદારી મારી છે. જો કે હવે આ હાર અને નબળા દેખાવ અંગે આજે મંત્રી નિવાસ ખાતે બેઠકમાં કેવી માહિતી રજૂ થાય છે અને તેના પર કેવું વિશ્લેષણ થશે તેના પર સૌની નજર છે.
ભાજપના જ સૂત્રો કહે છે કે, છેલ્લા કેટલાક સમયથી પક્ષના થઇ રહેલા કોંગ્રેસીકરણના લીધે અનેક કાર્યકરો, જૂના કાર્યકરોમાં ભારોભાર નારાજગી પ્રવર્તતી હતી. એમાં આ ચૂંટણી વખતે ભાજપે અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાને હાંકી કાઢ્યા હતા. એમને પણ હારતોરા કરીને પાછા લીધા અને પાછું એમને પણ સન્માન આપીને પદ જવાબદારી આપતાં આ નારાજગી રોષમાં પરિણમી હતી. આને લીધે સમગ્ર ચૂંટણી દરમિયાન કાર્યકરો મતદારો સુધી પહોંચવાના પક્ષના આદેશને ઘોરીને પી ગયા હોય એવું સ્પષ્ટ જણાતું હતું.
કેટલાક આગેવાનોએ એવી પણ ફરિયાદ કરી કે પક્ષ સમક્ષ જિલ્લાઓમાંથી રિપોર્ટ મોકલ્યા પછી પણ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે કોઇ કાર્યવાહી થઇ ન હતી. એમાંને એમાં ભાજપને બનાસકાંઠા બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.
ભાજપ દ્વારા ચૂંટણી પરિણામો બાદ દરેક જિલ્લાઓમાંથી રિવ્યુ રિપોર્ટ મગાવાયો હતો. આ રિવ્યુ રિપોર્ટ તેમજ દરેક બેઠકના ઉમેદવારોને પણ વન ટુ વન કંઇ કહેવું હોય તો કહેવા માટે તક આપવામાં આવશે. જો કે, હવે આ બેઠક પછી કેવા પગલા લેવાશે તે પણ જોવું રહ્યું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy