શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે કાળા વાવટા દેખાડવા પરનો પ્રતિબંધ યોગ્ય : હાઇકોર્ટ

Gujarat | Ahmedabad | 04 May, 2024 | 10:48 AM
અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાથી કોઇની સ્વતંત્રતા પર તરાપ પડતી નથી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમલ જરૂરી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 4

ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની અસર જોયા બાદ રાજય સરકારે કલમ 144ના અમલમાં રાજકીય રેલીઓ કે ઉમેદવારો  અથવા સભાઓમાં ક્ષત્રિય સમાજનો જે વિરોધ દેખાતો હતો તેને ડામવા માટે કાળા વાવટા દેખાડવા સહિતના પ્રતિબંધતાત્મક આદેશો અમલી બનાવ્યા અને તેની સામે હાઇકોટમાં થયેલી રીટને ફગાવીને હાઇકોર્ટે પણ ચૂંટણીમાં શાંતિ જળવાય રહે તે માટે કાળા વાવટાના પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો હતો.

તા.16 એપ્રિલના રોજ અમદાવાદના પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડીને પૂર્વ મંજુરી વગર પાંચથી વધુ લોકો એકત્ર થવું ઉપરાંત વિરોધ પ્રદર્શનમાં  કાળા વાવટા દેખાડવા પર પ્રતિબંધ મુકયો હતો. જોકે આ પ્રતિબંધ ફકત અમદાવાદમાં પોલીસ કમિશનર વિસ્તારને લાગુ પડતો હતો.

માનવામાં આવતુ હતું કે અન્ય મહાનગરો અને જિલ્લામાં આ પ્રતિબંધ મુકાશે પરંતુ તેમ નહીં કરીને સરકારે મોટી અથડામણ ટાળી હતી. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામેના વિરોધમાં કાળા વાવટાએ સૌથી વધુ ફરકવા લાગ્યા હતા.

જોકે અમદાવાદ પોલીસ કમિશ્નરના આ પ્રતિબંધને કરણી સેનાના અર્જુનસિંહ ગોહિલે હાઇકોર્ટમાં પડકારીને ચૂંટણી સમયે શાંંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન એ મુળભુત અધિકાર હોવાનું જણાવીને પોલીસ કમિશ્નરના જાહેરનામાને રદ કરવાની માંગણી કરી હતી.

રાજય સરકારે તેમાં દલીલ કરતા કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા સમયે શાંતિ જળવાઇ રહે ઉમેદવારો પોતાનો  પ્રચાર યોગ્ય રીતે કરી શકે અને મતદારો પણ ભય વગર ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઇ શકે તે માટે કાળા વાવટા દેખાડવા કે પ્લે કાર્ડ કે બેનર પ્રદર્શિત કરવા પરનો પ્રતિબંધ યોગ્ય છે.

સરકારે એ બચાવ કર્યો હતો કે આ જાહેરનામા છતાં પણ રાજયના વિવિધ ભાગોમાં 200 જેટલી રાજકીય અને 141 જેટલી બીનરાજકીય સભાઓ, બેઠકોને મંજૂરી અપાઇ છે. પાંચ મહારેલીઓને પણ મંજૂરી અપાઇ છે અને તેથી વિરોધ પ્રર્દન રોકવાનો કોઇ હેતુ નથી અને આ જાહેરનામુ ફકત કાળા વાવટા દેખાડવા કે તેવા આક્રમક વિરોધ સામે છે. શાંતિપૂર્ણ વિરોધ માટે કોઇ પ્રતિબંધ નથી.

તો બીજી તરફ અરજદારના ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે પોલીસ કમિશનર ચૂંટણી સમયે આ પ્રકારનું જાહેરનામું બહાર પાડીને લોકશાહી પ્રક્રિયા પર હુમલો કરી રહ્યા છે. ચીફ જસ્ટીસે આ દલીલ સ્વીકારી નહીં અને જણાવ્યું કે કલમ 144 કોઇની સ્વતંત્રતા છીનવતું નથી. ફકત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેનો અમલ જરૂરી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj