(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 29
લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં કોઈ મર્યાદા નડતરરૂપ ના રહે તે દિશામાં પણ ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓને મતદાન કરવામાં શારીરિક મર્યાદાઓ આડે ન આવે અને સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે આજે 09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના 62-વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં આજે 86 વર્ષીય શ્રી બાબુલાલ જગજીવનભાઇ સોની પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચુંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું.
આ તકે બાબુલાલ સોનીએ જણાવ્યું હતું કે, 86 વર્ષની ઉંમરના કારણે મારાથી ચાલી શકાતું નથી. તેથી મત આપવું શક્ય નથી તેમ હું વિચારતો હતો. પરંતુ ઘરે બેઠા મત આપવાની સુવિધાનો લાભ લઈને મે મતદાન કરીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે. હું દરેક નાગરીકને અપીલ કરું છું કે, કામ કરે એવા લોકોને પોતાનો કિંમતી મત આપવો જોઇએ. વધુમાં તેમણે દરેક લોકોને અપીલ કરતાં ઉમેર્યું હતું કે, ચૂંટણીમાં અચુક મતદાન કરીને દેશને વધુ મજબૂત બનાવીએ. તેમજ હોમ વોટીંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી.
હોમ વોટીંગ માટે ફોર્મ 12-ડી ભરવાનું હોય છે. જેના માટે બી.એલ.ઓ દ્વારા વયસ્કો અને દિવ્યાંગ મતદારોનો સંપર્ક કરવામાં આવે છે. ત્યારબાદ ચૂંટણીપંચ તરફથી વયસ્કો અને દિવ્યાંગ મતદારોને ઘરે રહીને મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી મળે છે. પોસ્ટલ બેલેટ પર ઉમેદવારના નામ અને ફોટાવાળા લિસ્ટમાં જેને મત આપવાનો છે તેની સામે મતદાન કુટિરની અંદર સ્ટેમ્પ લગાવે છે.
પછી આ પત્રક વાળીને ઝોનલ અધિકારીને સુપરત કરે છે. જેમના દ્વારા મતદાતાના મતને કવરમાં સીલ કરવામાં આવે છે. આ સીલ કરેલું કવર એ.આર.ઓ.ને આપી આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy