નવી દિલ્હી, તા. 7
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના વિપક્ષનો દેખાવ જબરદસ્ત સુધર્યો છે ત્યારે ચૂંટણી પરિણામ પૂર્વે વડાપ્રધાન અને ગૃહમંત્રીની શેર ખરીદવાની સલાહ, પરિણામ બાદ શેર માર્કેટના ધોવાણ સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનેક શંકાઓ સાથે સવાલોનું વાવાઝોડુ ઉભુ કરી દીધુ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે શા માટે શેર ખરીદવાની સલાહ આપી તે સહિતના મામલે સંસદની સંયુકત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગણી કરી છે.
રાહુલ ગાંધીએ શેરબજારની આ ઉથલપાથલને મોટા કૌભાંડ સમાન ગણાવી હતી. ભાજપને ખબર પડી ગઇ હતી કે 230 બેઠક આવે છે. તો પણ અદાણીની ન્યુઝ ચેનલો પર લોકોને 4 જુન પહેલા શેર ખરીદવા સલાહ આપતા રીટેલ ઇન્વેસ્ટરને 30 લાખ કરોડનું નુકસાન થયું છે.
લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શેરબજારમાં કડાકાને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા બાદ શેરબજારે 3 જૂને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 4 જૂને પરિણામ આવ્યા બાદ શેરબજાર તૂટ્યું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, "ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે શેરબજાર ઝડપથી ઉપર જશે. લોકોએ શેર ખરીદવો જોઈએ. 1 જૂને મીડિયા દ્વારા ખોટા એક્ઝિટ પોલ રિલીઝ કરાય છે. આંતરિક સર્વેમાં ભાજપને 220 બેઠકો મળી હતી, એજન્સીઓએ 200થી 220 બેઠકો પણ કહી હતી. 3 જૂને એકઝિટ પોલ આધારિત શેરબજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો હતો કે, "વડાપ્રધાને જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી? અમિત શાહે લોકોને શેર ખરીદવાનું કેમ કહ્યું? જો ભાજપ અને આ વિદેશી રોકાણકારો વચ્ચે કોઈ જોડાણ છે" અમે જેપીસી દ્વારા નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભૂમિકાની તપાસની માંગ કરીએ છીએ.
કોંગ્રેસ નેતાએ કહ્યું, "આ મામલો ઘણો મોટો છે, તે અદાણી સાથે સંબંધિત છે. તે સીધો વડાપ્રધાન સાથે સંબંધિત છે. ભાજપમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોએ આ કૌભાંડ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે આની તપાસ થાય, એ જાણવા માટે કે તેમની અને એક્ઝિટ પોલ કરાવનારાઓ વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ, અમને લાગે છે કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન આમાં સીધા સામેલ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને આ સંદેશ આપ્યો છે કે તમે શેર ખરીદો. તેમની પાસે માહિતી હતી કે એક્ઝિટ પોલ ખોટા છે અને ભાજપને બહુમતી મળવાની નથી, 30 લાખ કરોડનું નુકસાન થયું છે અને સત્તામાં રહેલા લોકોને ફાયદો થયો છેે. અહીં એક કૌભાંડ થયું છે. વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાને અહીં સંકેત આપ્યા છે. સત્ય એ છે કે અમે જેપીસી કરાવીશું. વિપક્ષમાં ઘણી તાકાત છે.
13 મેના રોજ ગૃહ મંત્રી ઇન્ટરવ્યૂમાં કહે છે 4 જૂન પેહલા શેર ખરીદી કરી લ્યો, 19 તથા 28 મે ના વડાપ્રધાન કહે છે કે ચૂંટણી બાદ સ્ટોક માર્કેટ તમામ રેકોર્ડ તોડશે, 1 જૂનના ખોટા એક્ઝિટ પોલ જાહેર કરાયા, 3 જૂનના એકઝિટ પોલ બાદ ચૂંટણી પહેલાં સ્ટોક માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો, 4 જૂનના શેર બજારમાં કડાકાના પગલે રિટેલ ઇન્વેસ્ટર્સને 30 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
રાહુલ ગાંધી હજુ હારની હતાશામાં છે : ભાજપનો જવાબ
ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : એકઝીટ પોલના દિવસે રોકાણકારોને નફો થયો
નવી દિલ્હી, તા. 7
ચૂંટણી પરિણામના આગલા દિવસ સુધી શેરબજારમાં તેજી અને પરિણામના દિવસે સૌથી મોટા ધોવાણ સામે કોંગ્રેસે સરકાર પર શંકા વ્યકત કરી છે ત્યારે ભાજપ નેતા પિયુષ ગોયલે રાહુલ ગાંધી હજુ હારની હતાશામાંથી બહાર આવ્યા નથી તેવી પ્રતિક્રિયા આપી છે.
ભાજપના નેતા પીયૂષ ગોયલે પણ રાહુલ ગાંધીને જવાબ આપવા માટે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા હતા. પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી હજુ સુધી લોકસભા ચૂંટણીમાં વિપક્ષની હારની નિરાશામાંથી બહાર આવ્યા નથી અને તેઓ ભાજપ અને અમારા નેતાઓ પર આક્ષેપો કરી રહ્યા છે. આ દરમિયાન પીયૂષ ગોયલે રાહુલ ગાંધી પર બજારના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું કાવતરૂ ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
આજે ભારત વિશ્વની 5ાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને સમગ્ર વિશ્વ ભારતને સૌથી ઝડપથી વિકસતિ અર્થવ્યવસ્થા તરીકે સ્વીકારી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ દેશને ખાતરી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મોદીના ત્રીજા કાર્યકાળમાં આવવાથી નારાજ દેખાય છે, જેના કારણે તેઓ પોતાના નિવેદનોથી વિદેશી અને સ્થાનિક રોકાણકારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પીયૂષ ગોયલે કહ્યું કે બજારમાં આપણા ભારતીય રોકાણકારોએ મોદી સરકારના 10 વર્ષના સફળ કાર્યનો લાભ લીધો. આ જ કારણ છે કે આજે દેશ અને દુનિયાને ભારત અને મોદીજીમાં વિશ્વાસ છે.
તેમણે કહ્યું કે દેશમાં ઘણી જગ્યાએ અમારી બહેનો અને માતાઓ કોંગ્રેસ કાર્યાલયની બહાર ઉભા છે. આજે મહિલાઓ તેલંગાણા, હિમાચલ અને કર્ણાટકની કોંગ્રેસ સરકારોને પૂછે છે કે તેઓ મહિલા દીઠ 1 લાખ રૂપિયા આપવાનું વચન કેમ પૂરું નથી કરી રહી. આજે મહિલાઓ કોંગ્રેસ સરકારો પાસે તેમના અધિકારો અને ન્યાયની માંગ કરી રહી છે.
તેમણે કહ્યું કે એપ્રિલ અને મે મહિનામાં જ્યારે બજાર વધી રહ્યું હતું ત્યારે વિદેશીઓએ બજારમાં વેચવાલી કરી હતી અને ભારતીય રોકાણકારોએ તેનો લાભ લીધો હતો અને ખરીદી કરી હતી. તે જ સમયે, છેલ્લા બે મહિનામાં આ તેજીથી ભારતીય રોકાણકારોને ફાયદો થયો છે. જે દિવસે એક્ઝિટ પોલ આવ્યા તે દિવસે વિદેશીઓએ ઊંચા ભાવે ખરીદી કરી અને ભારતીય રોકાણકારોએ ઊંચા ભાવે વેચીને નફો કર્યો. વિદેશીઓએ ઊંચા ભાવે રિટેલમાં રૂ. 6,850 કરોડની ખરીદી કરી હતી અને ભારતીય રોકાણકારોએ તેનો લાભ લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy