ઉનાળુ વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે અમદાવાદ પહેલી પસંદ : અંબાજી - સોમનાથ - દ્વારકામાં 3.50 કરોડ ભાવિકોએ દર્શન કર્યા

Travel, Gujarat | Ahmedabad | 03 July, 2024 | 03:14 PM
◙ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યામાં 17 ટકા વધારો
સાંજ સમાચાર

◙ ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય જ્યાં સૌથી વધુ એરપોર્ટ છે : આ સાથે રેલ કનેક્ટીવીટી પણ મળી આવતા પ્રવાસન માટે ફેવરિટ બને છે 

◙ સિંહ દર્શન અને સોમનાથ મંદિર હોવાથી ગીર સોમનાથ રાજ્યમાં પર્યટકોની મુલાકાતની સૌથી વધુ સંખ્યામાં ત્રીજા ક્રમે 

ગાંધીનગર, તા. 3
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે.

આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023માં, એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે. 

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

► અમદાવાદ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટીનેશન
‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2023-24માં પ્રવાસીઓની સંખ્યાની બાબતે અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ અને જિલ્લો રહ્યો છે.

► પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા બજેટમાં રૂ.2077 કરોડની ફાળવણી 
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન પ્રભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં રૂ. 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

► G-20 બેઠકોના આયોજનથી રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા
તાજેતરમાં, ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ  G-20  બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો.

G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.

► સૌરાષ્ટ્રનું હબ રાજકોટ ટોપ 10 માં પણ નથી, પર્યટકો માટે 'નોટ ફેવરિટ'
રામ વન, મહાત્મા મ્યુઝીયમ, ઓસમ ડુંગર, ખંભાલિડા ગુફામાં સિવાય કશું છે જ નહિ : અને જે છે તેનો પ્રચાર થતો નથી

રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા વિવિધ શહેર - જિલ્લા તથા પર્યટન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓના આંકડા જાહેર કર્યા છે. આ આંકડામાં ટોપ 10 જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે પરંતુ રાજકોટ ટોપ 10 માં ક્યાંય નથી. ઉલ્લેખનિય છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને જગત મંદિરમાં બિરાજતા દ્વારકાધીશના દર્શન કરવા દેશ વિદેશથી ભાવિકો આવે છે.

આ ઉપરાંત કચ્છનું સફેદ રણ પણ માણવા અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે. પરંતુ રાજકોટ પ્રવાસનની દ્રષ્ટિએ ઘણું પાછળ છે. સૌરાષ્ટ્રનું હબ મનાતું રાજકોટમાં રિયલ એસ્ટેટમાં રોકાણ, શિક્ષણ, ઉદ્યોગ માટે સૌરાષ્ટ્ર ભરથી લોકો આવે છે પણ પ્રવાસ કરવા - પર્યટન સ્થળોની મુલાકાત લેવા કોઈને રસ નથી. કારણકે અહીંયા કોઈ એવા આકર્ષણ નથી જેના માટે લોકો આવે, અને જે કંઈ છે તેનો એટલો પ્રચાર થતો નથી કે લોકોને ખાસ આવવાનું મન થાય.

સૌરાષ્ટ્રનું સૌથી વધુ કનેક્શન ધરાવતું એરપોર્ટ રાજકોટ પાસે છે અને દેશના અનેક શહેરોમાંથી ફ્લાઇટ આવે છે. છતાં જે લોકો આવે છે તે એક કનેક્શન રૂપી એરપોર્ટનો લાભ લે છે અને સીધા જ ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ, જેવા અન્ય જીલ્લાઓ તરફ જઈ રહ્યા છે.

રાજકોટ શહેરમાં આવનાર લોકો ઉદ્યોગ, સ્થાનિક રહેવાસી, અથવા પારિવારિક મુલાકાત હોય છે. ત્યારે પર્યટક રીતે રાજકોટનો વિકાસ થાય તે પણ ખૂબ જરૂરી છે. રાજ્યના ટોપ 10 જિલ્લામાં અમદાવાદ, સુરત અને વડોદરાનો સમાવેશ છે પણ રાજકોટ નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj