ગેમઝોન શરૂ થયાના સમયથી દુર્ઘટના સુધી ફરજ પર રહેલ અધિકારીઓની પુછતાછ થઇ

રાજકોટ TRP અગ્નિકાંડનો ખાતાકીય તપાસ રીપોર્ટ તૈયાર : વધુ પાંચ અધિકારી દોષિત ઠરશે!

Gujarat | Rajkot | 03 July, 2024 | 03:59 PM
કેબીનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની હાજરીમાં રીપોર્ટ પર ચર્ચા : આવતીકાલે સીલબંધ કવરમાં હાઇકોર્ટને સોંપાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 3
રાજકોટમાં ર7 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં રોજેરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે અને માત્ર બેદરકારી જ નહીં પરંતુ ભ્રષ્ટાચાર પણ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે રાજય સરકારે ખાતાકીય તપાસ માટે નિયુકત કરેલી કમીટીએ રીપોર્ટ તૈયાર કરીને રાજય સરકારને સોંપી દીધો છે.

અર્ધો ડઝન જેટલા અધિકારીઓને દોષિત ગણાવવામાં આવ્યાના નિર્દેશ છે. સરકાર દ્વારા રીપોર્ટ પર આંતરીક ચર્ચા કરવામાં આવી હતી અને આવતીકાલે ગુજરાત હાઇકોર્ટને સીલબંધ કવરમાં સોંપવામાં આવે તેવી શકયતા છે.

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવ્યા બાદ હાઇકોર્ટની ટકોરને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ‘ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી’ કરવા માટે પણ ત્રણ અધિકારીઓની ટીમનું ગઠન કર્યુ હતું. આ ટીમ દ્વારા રાજકોટ રૂબરૂ આવીને પણ તપાસ કરવામાં આવી હતી.

માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે, 2021માં ટીઆરપી ગેમ ઝોનની શરૂઆત થઇ ત્યારથી અગ્નિકાંડ સર્જાયો તે સમયગાળા સુધીમાં જે જે સીનીયર અધિકારીઓ ફરજ પર હતા તેઓ તમામની ટીમ દ્વારા પુછપરછ હાથ ધરીને નિવેદન લેવામાં આવ્યા હતા અને તેના આધારે ફરજમાં બેદરકારીથી માંડીને વિવિધ મુદાઓની જવાબદારી ફિકસ કરવામાં આવી હતી.

મ્યુનિ. કોર્પોરેશન, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતના વિભાગોમાં ત્રણ વર્ષ દરમ્યાન સીનીયર લેવલે ફરજ પરના અધિકારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. લાયસન્સ આપવાથી માંડીને રીન્યુઅલ તથા કપ્લીશન  જેવી બાબતોને પણ લક્ષ્યમાં લેવામાં આવી હતી. ગેમ ઝોનને અપાયેલી મંજૂરી, નોટીસ વગેરે પુરાવા એકત્રીત કરીને તેના આધારે પણ અધિકારીઓની ઇન્કવાયરી કરવામાં આવી હતી. 

રાજય સરકારના આધારભૂત સુત્રોએ જણાવ્યું છે કે, ખાતાકીય તપાસ ટીમ દ્વારા અર્ધો ડઝન જેટલા અધિકારીઓને  દોષિત ગણાવવામાં આવ્યા છે. જે પૈકીના એક અધિકારી વિરૂધ્ધ તો અગાઉ જ એફઆઇઆર દાખલ થઇ ગઇ છે અને હવે બાકીના પાંચ અધિકારીઓ સામે તોપ તાકવામાં આવે અને સિકંજો કસાઇ તેવી સંભાવના છે. 
તપાસ ટીમનો રીપોર્ટ સરકારને સોંપાતા રાજય સરકાર દ્વારા કેબીનેટની બેઠક ખત્મ થયા બાદ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

તપાસ ટીમે દર્શાવેલા તથ્ય લક્ષ્યમાં લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતા અને તેઓને પણ સમગ્ર રીપોર્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 

સુત્રોએ એમ જણાવ્યું છે કે તપાસ રીપોર્ટ પર ચર્ચા કરી લેવામાં આવી જ છે અને હવે આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં સીલબંધ કવરમાં રીપોર્ટ પેશ કરવામાં આવે તેવી શકયતા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj