(અમિત કંસારા દ્વારા) ધ્રોલ, તા.7
ધ્રોલ તાલુકામાં જર્જરિત ઈમારત ધરાશાયી થતાં બે બાળકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટના પગલે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે જેસીબી દ્વારા કાટમાળને દૂર કરી બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા ગોપાલ સાદલિયા(ઉ.વ.12)નું મોત નિપજ્યું હતું. જ્યારે આરોહી પરમાર (ઉ.વ.7) નામની બાળકીને ઈજા પહોંચી હતી.
બનાવની વિસ્તૃત માહિતી મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે નૂરી હાઇસ્કુલ સામે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અગાઉ સંચાલિત જુની કુમાર છાત્રાલય આવેલ હતી. અહીં વર્ષો પહેલા જ આ છાત્રાલય બંધ કરી દેવાઈ હતી. જેનું મકાન અહીં ઉભું હતું. વર્ષો પુરાણી આ ઇમારત જર્જરિત થઈ ગઈ હતી. અહીં આસપાસ કેટલાક ગરીબ પરિવાર ઝુંપડા બાંધી રહે છે. ત્યારે ગઈકાલે પાંચેક વાગ્યાની આસપાસ બે બાળકો કુમાર છાત્રાલય પાસે રમી રહ્યા હતા. ત્યારે અચાનક જ આ કુમાર છાત્રાલયના જર્જરિત મકાનની છત અને દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં બે બાળકો દટાયા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. યુદ્ધના ધોરણે પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાટમાળને બે જેસીબી દ્વારા દૂર કરી બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બંને બાળકોને તુરંત સારવાર અર્થે ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા ગોપાલ હરસુખ સાદલિયાનું (ઉ.વ.12)નું મોત નિપજ્યું હતું. જ્યારે આરોહી રવિભાઈ પરમાર (ઉ.વ.7) નામની બાળકીને ઇજા થઇ હતી. તેને સારવાર આપી તબિયત સ્થિર જણાતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. બનાવથી ધ્રોલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ધ્રોલ પ્રાંત અધિકારી ડે. કલેકટર વિપુલ સાકરીયા, ટીડીઓ સોજીત્રા, મામલતદાર તન્વી ત્રિવેદી, પીએસઆઈ પી.જી. પનારા સહિતના પોતાની ટીમ સાથે દોડી ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy