જૂનાગઢ,તા.6
ગીર જંગલની મધ્યમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ કનકાઈ નજીક આવેલ લીલાપાણી, સુવરડીનેસ અને ગોરડવાળા નેસના માલધારીઓ તા.7મી મે એ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા ઉત્સુક બન્યા છે. આ ત્રણેય નેસમાં આશરે 400 જેટલા માલધારીઓ વસવાટ કરી રહ્યા છે અને તેના કુલ 121 મતદારો માટે કનકાઈ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક ઊભું કરવામાં આવે છે.
જૂનાગઢથી આશરે 70 કિલોમીટર દૂર, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર, અડાબીડ જંગલ અને ગીર કેસરીની ડણકો સંભળાય છે, તેવા કનકાઈ માતાજીના મંદિર નજીક વન વિભાગની કનકાઈ રાઉન્ડ કચેરી ખાતે મતદાન મથક ખાતે માલધારીઓએ સહ પરિવાર મતદાન કરશે.
સુવરડી નેસના કલાકાર અને માલધારી જીવણભાઈ ટાપરિયાએ પોતાની આગવી શૈલીમાં દુહા લલકારી તા.7 મી મે એ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેઓ કહે છે કે, આપણા પૂર્વજોએ દેશ માટે બલિદાન આપ્યા છે, હવે મતદાન કરી દેશ અને લોકશાહીને મજબૂત બનાવીએ. અમે માલધારીઓ પણ સહ પરિવાર મતદાન કરવાના છીએ. ત્યારે દરેક મતદારો મતદાન કરી દેશ માટેની ફરજ અદા કરે. તેમણે એમ પણ કહ્યું કે, મતદાન કરવું એ આપણો નાગરિક ધર્મ અને ફરજ છે.
ગીર મધ્યે આવેલા પ્રાચીન કનકાઈ માતાજીના મંદિર ખાતે પર્યટકોએ તા.7મી મે એ મતદાન કરી લોકશાહીના મહાપર્વને સાર્થક કરવા માટે અપીલ કરી છે.
અમદાવાદ ખાતેથી પરિવાર સાથે ફરવા આવેલા આશા પટેલ કહે છે કે, દેશના ઉજવળ ભવિષ્ય માટે વોટ કરવો જોઈએ. આપણે કપડાં જેવી સામાન્ય વસ્તુની ખરીદી માટે 10 જગ્યાએ ફરીને અને વિચારીને પસંદગી કરતા હોય છીએ.
ત્યારે આપણે સમજદારી પૂર્વક યોગ્ય જનપ્રતિનિધિને ચૂટવા મત આપવો જોઈએ. તેવા જ એક પર્યટક મૂળ મેંદરડાના અણીયારાના જીજ્ઞા ધુતલા હાલ બ્રિટનમાં વકીલાત કરી રહ્યા છે તેમણે પણ દેશના સુરક્ષિત ભવિષ્ય માટે મત કરવો જોઈએ અને જ્યારે આ અધિકાર લોકોને પોતાના હાથમાં આપવામાં આવ્યો છે. ત્યારે અચૂક મતદાન કરીએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy