◙ અર્ધો કલાકથી વધુના ભાષણમાં પ્રારંભમાં હિન્દી અને બાદમાં ગુજરાતીમાં સંબોધન: સ્થાનિક લહેકાથી કહ્યું પીએમ સાહેબ નહી અહીયા તો આપણા નરેન્દ્રભાઈ આયા સી...: બનાસકાંઠાને સંદેશ
◙ ફેક વિડીયો મુદાનો ઉલ્લેખ: રામમંદિરથી કલમ 370 અને 370 સાથે અનામત મુદે પડકાર ફેંકતા કહ્યું કે હું જીવુ છુ ત્યાં સુધી અનામત હટવા નહી દઉ અને ધર્મને આધારે અનામત આવવા નહી દઉ
રાજકોટ,તા.1
ગુજરાતમાં ઓચિંતા જ બદલાઈ ગયેલા લોકસભા ચૂંટણીના સમીકરણો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ ચુંટણી પ્રવાસમાં તેઓએ ફરી એક વખત મોદી કરીશ્મા મતદારો પર છવાઈ જાય તે નિશ્ચિત કરવાની સાથે જ કોંગ્રેસ પક્ષને પણ આડે હાથે લીધી હતી. બે દિવસના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેઓને ચુંટણીમાં સૌથી ટફ ગણાઈ ગયેલી બનાસકાંઠા લોકસભા બેઠક ઉપરાંત કોંગ્રેસ જયાં મજબૂત લડત આપે છે તે પાટણ લોકસભા બેઠક માટે બે જંગી જાહેર સભાઓને ડીસા અને હીમતનગરમાં સંબોધન કરતા પ્રારંભમાં હિન્દી અને બાદમાં ગુજરાતીમાં પોતાનું વકતવ્ય આપ્યુ હતું.
તેઓએ ડીસામાં ભારત માતા કી જય ના નારા સાથે જણાવ્યું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતમાં આ પ્રથમ ચૂંટણીસભાને સંબોધવાનો મને મોકો મળ્યો છે. તેઓએ પોતે ગુજરાતના જ હોવાનું ફરી લાગણીસભર રીતે પ્રસ્થાપિત કરતા કહ્યું કે કાર્યક્રમનું સંચાલન કરનાર બહેન અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમના પાટણમાં પીએમ સાહેબ... પીએમ સાહેબ કહેતા હતા પરંતુ અહીયા તો આપણા નરેન્દ્રભાઈ આયા સી એમ કહીને તેમને સ્થાનિક ભાષામાં લહેકો માર્યો હતો.
શ્રી મોદીએ કહ્યું કે, 2019માં પણ લોકો માનતા હતા કે ફરી સરકાર નહી બને અને તે માટે દુનિયાભરના ખેલ થયા. ચોકીદાર ચોર હૈ અને રાફેલના રમકડા સભામાં આવતા હતા પરંતુ પરિણામ તમે જ નકકી કરી લીધુ હતું તો 2024ની ચૂંટણીમાં હું મારી ગેરેન્ટી લઈને આવ્યો છું જેનો લાભ તમામને મળશે.
શ્રી મોદીએ પડકાર સાથે કહ્યું કે, એસટી, એસસી અને ઓબીસીને જે અનામત મળી છે તે મોદી જીવે છે ત્યાં સુધી ચાલુ રહેશે અને ધર્મના આધારે અનામતનો ખેલ હું થવા દઈશ નહી. તેમણે અનામત અંગે અમીત શાહના જે ફેક વિડીયો વાયરલ થયો છે અને તેનું કનેકશન પણ ગુજરાતમાંથી નીકળ્યું છે.
તે અંગે કહ્યું કે, આ લોકો મોહબ્બતની દુકાન કહે છે પણ તે ફેક ફેકટરી છે અને આ લોકો ફેક વિડીયો બનાવીને ફેલાવે છે. શ્રી મોદીએ પડકાર ફેંકતા કહ્યું કે લડવુ હોય તો બે બે હાથ કરી લો, દાળભાત ખાવાવાળો શું કરે છે તે બતાવી દઈશ. હિંમત હોય તો સામેથી વાર કરો ફેક વિડીયો બંધ કરો.
શ્રી મોદીએ હિંમતનગરની સભામાં ત્રીપલ તલ્લાકનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સીએએ અંગે પણ કહ્યું હતું. તેમજ કલમ 370થી લઈ રામમંદિરના મુદાઓ પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાનના પ્રવચનમાં શક્તિસિંહથી લઈ કેજરીવાલ, અહમદ પટેલથી લઈ ગાંધી પરિવારનો ઉલ્લેખ: કોંગ્રેસના ચુંટણી ઢંઢેરાને પણ ઝાટકયો
વડાપ્રધાને તેમના પ્રવચનમાં આ વિસ્તારમાં પ્રચાર કરી ગયેલા પ્રિયંકા ગાંધીથી લઈ ‘આપ’ના નેતાઓને પણ નિશાન બનાવ્યા હતા અને મતદાતાઓના મનમાંથી આ તમામની છાપ દુર કરવા પ્રયત્ન કર્યો હતો અને કહ્યું કે, અહમદ પટેલનો પરિવાર ભલે ભરૂચમાં રહેતો હોય પણ તે કોંગ્રેસને મત નહી આપી શકે, તેમનો ઉલ્લેખ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ચુંટણી લડી રહી છે તે બાજુ હતો.
તો બીજી તરફ કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં જે રીતે આવકની સમાન વહેંચણીનો મુદો છે તેમાં ફરી એકવખત તમારા ઘરમાં, લોકરમાં કે પછી લોટના ડબ્બામાં રહેલા ઘરેણા સલામત નહી રહે તેવું પણ કહીને મહિલાઓને સાવધ કર્યા હતા.
જો કોંગ્રેસ જીતી તો તમારી બે ભેંસમાંથી એક ભેંસ સરકાર લઈ જશે
ડીસામાં વડાપ્રધાને વિપક્ષના ચુંટણી ઢંઢેરા પર આબાદ પ્રહાર કર્યો
રાજકોટ,તા.2
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં મિલ્કતના સમાન વહેંચણીનો મુદો અપાયો છે તેને ગુજરાતની સભામાં પણ રસપ્રદ રીતે આગળ ધરીને એક તરફ એવુ જણાવ્યુ હતું કે તમારા ઘર કે બેંક લોકરમાં કે પછી મહિલાઓ જે રીતે લોટ અને અનાજના ડબ્બામાં ઘરેણા સંતાડે છે તે પણ કોંગ્રેસવાળાની નજરથી બચી શકશે નહી તો ડીસામાં વડાપ્રધાન ટકોર કરતા કહ્યું કે જો કોંગ્રેસ જીતી જશે તો તમારી બે ભેસમાંથી એક ભેસ સરકાર લઈ જશે. શ્રી મોદીએ આ રીતે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં જે રીતે ભેસ એ મહત્વની મિલ્કત ગણાય છે તે મુદે પણ કોંગ્રેસને આડકતરી રીતે ઘેરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy