વેરાવળ,તા.17
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ, કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમનભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા દ્વારા સાર્વજનિક જગ્યામાં વોલ કમ્પાઉન્ડ, ટેટ્રાપોલ બનાવવામાં ગુણવત્તા, બંદર ખાતે ચાલતી કામગીરી અંગેના પ્રશ્નો, સરકારી હોસ્પિટલને લગતા પ્રશ્ર્નોે, ફિશમાર્કેટ, નેશનલ હાઈવે પરના ડિવાઈડર, ફાચરિયા ગામે ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા સહિતના પ્રશ્ર્નોે રજૂ કરવામાં આવ્યાં હતા.
સમસ્યાઓનું નિરાકરણ એ જ એકમાત્ર ઉપાયના સૂત્રને અનુલક્ષીને કલેક્ટરે જનપ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાનમાં લઈ મિટિંગમાં રજૂ થયેલા પ્રશ્નો મુદ્દે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં વધારો થાય એવી કામગીરી કરવા સૂચનો કર્યા હતાં. આ સાથે જ કલેક્ટરે જાહેર સ્થળો, જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગોની આસપાસ સફાઈ થાય અને યોગ્ય જાળવણી થવા સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, સર્વે પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, ચિરાગભાઈ હિરવાણિયા સહિત આર.એન્ડ બી, વનવિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય, શિક્ષણ, બાગાયત, નગરપાલિકા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy