રાજકોટ,તા.17
કોઠારિયા ગામની સિમમાં ગઈ કાલે સાંજનાં સમયે વાડી બાબતમાં કૌટુંબીક ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષે સામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુવાડવા રોડ પોલીસે છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. મારમારીમા ઘાયલ થયેલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત મુજબ ફરિયાદી દેવાભાઇ નોંઘાભાઈ ખરગીયા (ઉ.વ.45, રહે.પોપટપરા શેરી નં-14 ભરવાડ સમાજની વાડીની બાજુમાં રાજકોટ) એ ફરિયાદમાં જણાવ્યું કે વીશેક વર્ષથી કોઠારીયા ગામની સિમમાં વડીલોપાર્જીત ખેતીની જમીન આવેલ હોય અને તે જમીન પર મારા કૌટુંબીક ભાઈઓ નાથાભાઈ બાઘાભાઈ તથા તેજાભાઈ બાઘાભાઈનો કબ્જો હોય જે બાબતે વીશેક દિવસ પહેલા કોર્ટ દ્વારા અમારા ફેવરમાં હુકમ કરતા અમે જમીન પર ફેન્સીંગ કરી કબ્જો કરેલ હતો. ગઈ કાલે સાંજના આશરે છ વાગ્યા આસપાસ હુ તથા મારા મોટા ભાઇ અરજણભાઇ અમે બન્ને ભાઈઓ વાડીએ આટો મારવા ગયેલ ત્યારે અમારા કૌટુંબીક ભાઇઓ નાથાભાઇ બાઘાભાઈ ખરગીયા, તેજાભાઈ બાઘાભાઈ ખરગીયા તથા રવીભાઈ તેજાભાઈ ખરગીયા તથા રામભાઈ કડવાભાઈ ખરગીયા (રહે તમામ કોઠારિયા ગામ) ત્યા વાડીએ હાજર હતા.
જે અમને જોઇ જતા અમારી પાસે આવી ચારેય જણા બન્ને ભાઇઓને અપશબ્દો બોલવા લાગેલ. અને કહેલ કે અહીં ખેતરમા પગ મુકવો નહી. હવે અહીંથી તમે જતા રહો નહીતર જાનથી મારી નાખીશું કહી બોલવાં લાગેલ. જેથી અમે બન્ને ભાઇઓએ કહેલ કે આ જમીનનો કેશ અમે જીતી ગયેલ છીએ. અને આ જમીન હવે અમારી છે. તેમ વાત કરતા આ ચારેય જણા ઉશ્કેરાય ગયેલ. અને અમારી સાથે બોલાચાલી કરી જઘડો કરવા લાગેલ. તેવામા રવીએ પાઇપ વડે મને અને મારા મોટાભાઈને માથાનાં ભાગે મારી દીધેલ. આ ચારેય જણા અમારી સાથે ઝપાઝપી કરવા લાગેલ. જેથી અમે બન્ને ભાઇઓ નીચે પડી જતા આ ચારેય જણા જતા રહેલ. બાદ 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કુવાડવા પોલીસે ચારેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ નાથાભાઇ બાઘાભાઈ ખરગીયા (ઉ.વ.50, રહે .કોઠારીયા (આણંદપર) ગામ, જી.રાજકોટ) એ દેવાભાઈ ખરગીયા અને અરજણભાઈ ખરગીયા ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઠારીયા ગામની સીમમા વડીલોપાર્જીત આશરે આઠ એકર ખેતીની જમીન આવેલ છે. ગઈ કાલ સાંજના છ વાગ્યાની આસપાસ હું મારા નાનાભાઈ તેજાભાઈ તથા તેનો દિકરો રવી અમે ત્રણેય જણા અમારી ખેતીની જમીનમાં ખાતર નાખતા હતા. ત્યારે મારા કૌટુંબીક ભાઇઓ અરજણભાઈ નોંઘાભાઈ ખરગીયા તથા દેવાભાઈ નોંઘાભાઈ ખરગીયા (રહે. બંને પોપટપરા રાજકોટ) અમારી વાડીએ આવી અમને કહેલ કે આ જમીનનો કેશ અમે જીતી ગયેલ છીએ. હવે તમે લોકો આ જમીન ખાલી કરી દેજો. જેથી અમે કહેલ કે આ જમીન વર્ષોથી અમે વાવીએ છીએ. તમે કેશ જીતી ગયા હોવ તો કાગળો બતાવો તેમ કહેતા.
આ બન્ને ભાઇઓ એકદમ ઉશ્કેરાયેલ ગયેલ.અને અમારી સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલવા લાગેલ જેથી અમે અપશબ્દો બોલવાની ના પાડતા. અરજણભાઇ એકદમ ઉશ્કેરાય ગયેલ અને ધોકા વડે માર મરવા લાગેલ અને દેવાભાઈ ઝપાઝપી કરવા લાગેલ. બાદ બંને ભાઇઓએ કહેલ કે આ જમીન ખાલી કરી નાખજો કહી ધમકી આપી હતી. બાદ બંને જતાં રહેલ. બાદ અમે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કુવાડવા પોલીસે બંને સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy