જામનગર તા.17:
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સંચારી રોગોની અટકાયત અંગે જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં પાણીનું રીકલોરિનેશન, ઘન કચરાનો નિકાલ, હોટેલોમાં ખોરાકની તપાસણી, લારી- ગલ્લાનું રેગ્યુલર ચેકીંગ તેમજ અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.
બેઠકમાં સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી પીવાના પાણીનું નિયમિતપણે રી-કલોરીનેશન થાય તે માટે ડેઈલી રિપોર્ટિંગ થાય છે અને હેલ્થ વર્કર્સને તાલીમ અપાઈ છે. આઈસ ફેક્ટરી, ખાણીપીણીના ગલ્લા, લારી, લોજ અને હોટેલોમાં ખોરાકના જથ્થાનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાશે. પાણીજન્ય રોગ ટાઈફોઈડ, હિપેટાઈટીસ એ, હિપેટાઈટીસ ઈ અને મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાને રોકવા માટે છેવાડાના ગામડા સુધી રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પીવાના પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીન ટેબ્લેટ અને ટી.સી.એલ. પાવડરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.
તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ થાય, સ્વચ્છતા જળવાઈ રહે, પાણીના નમુનાની બેકટેરિયલોજીકલ તપાસ કરવામાં આવે અને પાણીની પાઈપલાઈનમાં જો કોઈ લીકેજની ફરિયાદ મળે તો તે તાત્કાલિક રીપેર કરવાની જિલ્લા કલેકટરશ્રીએ સમિતિના સભ્યોને સૂચના આપી હતી. ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, આર.સી.એચ.ઓ.શ્રી ડો. નૂપુર પ્રસાદ, જિલ્લા સર્વેક્ષણ અધિકારીશ્રી ડો.એસ.આર.રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર સુશ્રી એસ.જે.પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીગણ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy