જામનગર તા.17
જામનગરની જી.જી. હોસ્પિટલના લાંચ કાંડમાં અંતે આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે અને ફરાર આરોપી પટાવાળાને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેની બદલી દાહોદ કરી દેવામાં આવી છે.
જામનગરના હોસ્પિટલના મેડિસીન વિભાગમાં પટાવાળા તરીકે કામ કરતા અશોક પરમાર નામના શખ્સે અમરેલીના શિક્ષક પાસેથી મેડિકલ સર્ટીફીકેટ કાઢવા માટે રૂા. 25 હજારની લાંચ માંગી હતી, જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, પરંતુ આ ટ્રેપની ગંધ આવી જતાં પાઉડરવાળી નોટો ધોઈને આરોપી પટાવાળો અશોક પરમાર નાસી છૂટયો હતો, જે હજુ હાથમાં નથી આવ્યો, ત્યાર બાદ મેડિસીન વિભાગમાં ચાલતી અનેક ગોંબાચારીઓ બહાર આવી હતી. પટાવાળાને ચેમ્બર આપવામાં આવી હતી તેમજ તે વહિવટી અધિકારીની નેમ પ્લેટ લગાડીને કામ કરતો હતો, આ ઉપરાંત અનેક લોકો મેડિકલ સર્ટીફીકેટ અને દારૂની પરમીટના ભોગ બન્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. દરમિયાન ઢાંકપીછાડો કરવા નાના પટાવાળાઓની મેડિસીન વિભાગમાં બદલીઓ કરવામાં આવી તેમજ બે કલાર્કને પાણીચું આપી દેવામાં આવ્યું અને બે પટાવાળાઓને ઘરે બેસાડી દેવામાં
આવ્યા, પરંતુ મોટા માથાઓ કોઇ સામે ન આવ્યા. દરમિયાન આ મામલાની ગંભીરતાને આરોગ્ય વિભાગે લીધું હતું અને સુપ્રિ. ડો. દિપક તિવારીને તમામ કાગળો સાથે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતાં, જયાં તેમની પાસેથી તમામ વિગતોની ચર્ચા કરી અને કાગળો તપાસ્યા હતાં. દરમિયાન આરોગ્ય વિભાગના નાયબ નિયામકે તાત્કાલિક લાંચ કાંડમાં સંડોવાયેલા પટાવાળા અશોક પરમારની બદલી દાહોદ ફિઝીયોથેરાપી કોલેજમાં કરી તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy