રાજકોટ,તા.2
રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચારમાં ભાજપના પરસોતમ રૂપાલા બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ‘હરખપદુડા’ ચર્ચાસ્પદ નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી દીધી છે. આ અંગે ચૂંટણીપંચ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ આ મામલે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન કરેલા ‘હરખપદુડા’ નિવેદનના મામલે તેઓ દ્વારા ડે.ક્લેકટરને તપાસ સોંપવામાં આવી છે. આ અંગે ફરીયાદ મળતા જ તપાસની કામગીરી શરૂ કરાયેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તાજેતરમાં કોંગ્રેસની એક સભા દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, અમારા પટેલો અને બાપુઓએ ‘હરખપદુડા’ થઈ ભાજપને વટવૃક્ષ બનાવવા માટે સિંચન કર્યુ હતું. આ જ ભાજપે 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાંસા ફાટી ગયા.
શહેરના વોર્ડ નં.5માં કોંગ્રેસની સભા દરમ્યાન પરેશ ધાનાણીએ તેમના પ્રવચનમાં પાટીદાર આંદોલનને યાદ કરી આ પ્રવચન આપ્યુ હતું. જેમાં તેઓએ હાલના ક્ષત્રિય સમાજના આંદોલનને પણ આવરી લીધુ હતું. પરેશ ધાનાણીના આ હરખપદુડા નિવેદન સામે ભાજપે આચારસંહિતા ભંગની ફરીયાદ કરતા જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ અત્યાર સુધીમાં સી વિઝીલ-એપ મારફતે જીલ્લા ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં 305 જેટલી આચારસંહિતાની ફરીયાદો મળી છે. જેમાં સૌથી વધુ 132 ફરીયાદો રાજકોટ વિસ્તારમાંથી મળી છે જયારે જસદણ વિસ્તારમાંથી આચાર સંહિતાની 7 ફરીયાદો મળી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy