રાજકોટ, તા. 2
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના ચાલી રહેલા આંદોલનના પડઘા દુર દુર સુધી પડયા છે ત્યારે જામનગર જિલ્લામાં સમાજનો રોષ શાંત કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે ગઇકાલે મોડી સાંજે ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ સહિતના 10 ગામોના સરપંચોની મીટીંગમાં ભાજપને નહીં તો કોંગ્રેસને પણ મત નહીં આપવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.
ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ, મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાએ મજબુત રાષ્ટ્રવાદ ધ્યાને રાખી હાલારના મતદારોને મોટુ મન રાખવા અનુરોધ કર્યો હતો.
આજે સાંજે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભા છે તે પૂર્વે આ બેઠક પરનું ગરમ વાતાવરણ શાંત પાડવા ગત રાત્રે આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે ડેમેજ કંટ્રોલ માટે છેલ્લી ઘડી સુધી બેઠકો ચાલી છે.
મોટા વાગુદળ ગામે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા સતુભા જાડેજાના ફાર્મહાઉસ ખાતે આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સંકલન સમિતિના પ્રમુખ ગોવુભા, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય લખધીરસિંહ જાડેજા, તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ સહિત 10 ગામના સરપંચોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. 100 જેટલા આગેવાનોએ નિષ્પક્ષ અને તટસ્થ ચર્ચાઓ કરી શાંતિથી વિરોધ કરવા મન બનાવ્યું હતું.
રાજભા જાડેજા સહિતના આગેવાનોએ કહ્યું હતું કે ઘોડો ન ગમતો હોય તો ગધેડાને મત તો ન જ અપાઇ. જે કંઇ વિવાદ ઉઠયો છે તે રાજકોટમાં ભાજપના ઉમેદવાર સામે થયો છે. પરંતુ ભાજપ સામેના રોષનો લાભ કોંગ્રેસ લઇ જવી ન જોઇએ. 10 ગામના લોકોની પણ આ લાગણી છે. વર્ષોથી ભાજપ પરિવાર સાથે સૌ જોડાયેલા છે. કોંગ્રેસનું બટન દબાવીને લોકો આવી ભુલ કરવા માંગતા નથી.
ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે કહ્યું હતું કે ગામના સરપંચોએ જે જાગૃતિ દર્શાવી તે અભિનંદનને પાત્ર છે. સરપંચો ગામમાં શાંતિપૂર્ણ અને રાષ્ટ્રહિતમાં મતદાન વ્યવસ્થા કરાવવા તૈયાર થયા છે. આ પહેલ પરિવાર જેવી જ છે. દરેક ગામડામાં દેશના વિકાસને ધ્યાને રાખીને મત આપવા તેમણે અપીલ કરી હતી.
સરપંચોએ કહ્યું હતું કે આ વિવાદનો ગેરલાભ કોંગ્રેસ લઇ જવી ન જોઇએ. શાંતિથી વિરોધ કરીને પણ સંદેશો આપી શકાય છે. જો ભાજપને મત ન આપવો હોય તો નોટાનો વિકલ્પ પણ છે. પરંતુ કોંગ્રેસને લાભ મળવો ન જોઇએ.
આ મીટીંગમાં પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, મોટા વાગુદળના ઉપસરપંચ અનિરૂધ્ધસિંહ જાડેજા, નાના વાગુદળના ઉપસરપંચ યુવરાજસિંહ જાડેજા, અન્ય સરપંચો વિરેન્દ્રસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, હકુમતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy