રાજકોટ,તા.17
સ્વામિનારાયણ ભગવાનની 194મી અંતર્ધાન તિથિ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના શ્રી પ્રભુસ્વામી તથા શ્રીધર્મનંદન સ્વામી વગેરેસંતોએ ગઢડા મુકામે ભજન ભક્તિ કરીને ઉજવી.
આ પ્રસંગે શ્રી પ્રભુસ્વામીએ કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસેની છપૈયા છે પરંતુ તેમની કર્મભૂમિ ગુજરાત રહી છે. બોટાદ જિલ્લાના ગઢડામાં રહીને તેમણે તથા તેમના 3000 ઉપરાંત સંતોએ : વિશેષ કરીને ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેર પ્રદેશોમાં વિચરણ કર્યું.
નીતિ, નિયમ, નિષેધ અને નિયંત્રણ દ્વારા સ્વામિનારાયણ ભગવાને સમાજની કાયાપલટ કરેલી. લોકોને અંધશ્રદ્ધા અને વ્યસનમુક્ત કરી સદાચારી જીવન જીવતાં કરેલા. ત્રીસ વર્ષમાં અમદાવાદ, ભૂજ, વરતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડામાં શિલ્પ સ્થાપત્યના નમૂના રૂપ છ મંદિરો બનાવેલા. આશ્રિતોને જીવન જીવવા શિક્ષાપત્રીરૂપી નાનક્ડો 212 શ્લોકનો ગ્રંથ પોતે જ લખી આપેલો. સત્સંગિજીવન, બ્રહ્મસુત્ર,રામાનુજ ગીતા ભાષ્ય જેવા ગ્રંથો સંતો પાસે રચાવ્યા. જુદા જુદા સ્થાનોમાં 13 વર્ષથી 63 વર્ષના સંતો હરિભકતો અને સ્વયં સ્વામિનારાયણ ભગવાન વચ્ચે પ્રશ્ર્નોેત્તરી કથાવાર્તા થયેલ. તે 621 પ્રશ્ર્નોેતરી ચાર સંતોએ લખી લીધેલ. જે વચનામૃત રૂપી ગ્રંથનું આજે પણ વાચન શ્રવણ તથા કથા વિવેચન સહુ ભાવિકોના ઘરે તથા મંદિરોમાં થાય છે.
જેઠ સુદ દશમને મંગળવાર (તારીખ 1-6-1830)ના મધ્યાન્હ પૂર્વે થોડીવારે સ્વતંત્ર થકા અક્ષરધામ સીધાવેલ.આ દિવસને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ભક્તો ધૂન કીર્તન તેમજ ભગવાનના લીલા ચરિત્રોને યાદ કરી ઉજવતા હોય છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંતોએ જે અક્ષર ઓરડીમાં બેસી 194 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન સ્વધામ સિધાવેલ એજ અક્ષરધામ તૂલ્ય અતિ પવિત્ર અને રમણિય તીર્થભૂમિ પર બેસીને ભજન ભક્તિ કરેલ. જુનાગઢ શ્રીસ્વામિનારાયણ ગુરૂકુલના મહંત પુરાણી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીના મુખે અંતર્ધાન લીલાની કથાનું શ્રવણ ધ્યાનસ્થ બેસી કરેલ. શ્રી વેદાંત સ્વામીએ સારંગી સાથે શ્રી ગોપીનાથજી મહારાજ સન્મુખ તથા અક્ષર ઓરડીમાં વિરહના કીર્તનોનું ગાન કરેલ. શ્રી કૃપાવત્સલ સ્વામીશ્રીએ ધૂન કરાવી સૌ સંતો ભક્તોને રાજી કરેલ. અંતમાં સૌએ સમૂહમાં ભગવાનની આરતી કરી હતી.આ પ્રસંગે જસદણ, બોટાદ તથા સુરત વગેરેના ભાવિક ભક્તોએ ગોપાળાનંદ સ્વામી રચિત બીજ મંત્રના યજ્ઞમાં આહૂતિઓ અર્પી હતી. અંતમાં ભગવાન સ્વામિનારાયણના નશ્વર શરીરને જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ તે લક્ષ્મીવાડીમાં સ્મૃતિમંદિરે દંડવત પ્રણામ તથા પ્રાર્થના કરેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy