રાજકોટ, તા.4
આગામી તારીખ 10મીના શુક્રવારના અખાત્રીજ કે અક્ષય તૃતીયા છે. હિંદુ તહેવારોમાં અક્ષય તૃતીયાનું અનન્ય મહત્વ છે. અક્ષય તૃતીયા તિથિ તા.10ના સવારે 10.17થી શરૂ તશે અને તા.11ના શનિવારના સવારે 2-50 વાગ્યા સુધી ચાલશે.
અક્ષય તૃતીયાના દિવસે સુકર્મયોગ પણ મનાવવામાં આવશે. સુકર્મ યોગ બપોરના 12-07 વાગ્યે શરૂ થશે. જે બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી ચાલશે. આ સમય દરમ્યાન સોના-ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.
આ દિવસે રોહિણી નક્ષત્ર સવારે 10.48 વાગ્યા સુધી રહેશે. આ નક્ષત્રનો સ્વામી શુક્ર છે. ભૌતિક સુખો આપનાર છે. રોહિણી નક્ષત્રમાં કોઇપણ પ્રકારનું કાર્ય શરૂ કરવું શુભ સાબિત થઇ શકે છે.
આ સાથે તૈતિલ અને ગર કરણનું નિર્માણ પણ આ દિવસે થશે. એટલા માટે અક્ષય તૃતીયા ખૂબ જ વિશેષ માનવામાં આવશે.
પૂજા અને ખરીદી માટે શુભ મુહૂર્ત
અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શ્રીયંત્રની પૂજા, સત્યનારાયણની કથા વગેરે કરી શકાય છે.
આ દિવસે પૂજાનો શ્રેષ્ઠ સમય સવારે 5-33 થી 12-17 સુધીનો રહેશે. આખો દિવસ ખરીદી માટે શુભ માનવામાં આવશે. સોનુ-ચાંદી ખરીદવામાં આવશે તો તે વધુ શુભ સાબિત થશે. બપોર પછી સુકર્મ યોગ શરૂ થનાર છે.
લગ્નના મુહુર્ત નથી
રાજકોટના શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું કે આ વખતે અક્ષય તૃતીયાના ગુરૂ શુક્રના અસ્તના કારણે લગ્નના મુહુર્ત નથી. છતાંય સમુહ લગ્નના આયોજનો થતાં હોય છે.
આ દિવસે પૂજાપાઠ, ગૃહશાંતિનો હવન, શ્રી યંત્રની સ્થાપના, રાંદલ માતાજીના લોટો તેડાવવા વગેરે ધાર્મિક કાર્યો કરી શકાય છે. નવી ઓફિસનું ઉદ્ઘાટન કરી શકાય છે.
જૈનોના પ્રથમ તીર્થકર ભગવંત શ્રી આદિનાથ પ્રભુએ અક્ષય તૃતીયાના દિવસે સળંગ 400 ઉપવાસના પારણા કર્યા હતા તેથી જે લોકોએ વર્ષી તપની તપશ્ચર્યા કરી હોય. તેઓનો પારણા મહોત્સવ ઉજવાશે. પાલીતાણામાં મોટાપાયે વર્ષી તપના આરાધકોના પારણા મહોત્સવ યોજવામાં આવે છે.
ભગવાન પરશુરામ જયંતી
અખાત્રીજના ભગવાન પરશુરામ જયંતી સમસ્ત બ્રહ્મ સમાજ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવે છે. આ દિવસે ભુદેવો શોભાયાત્રા, મહા આરતી તથા મહાપ્રસાદના આયોજનો કરવામાં આવે છે.
ઐતિહાસિક ઘટનાઓ
અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા. મહાભારતનું યુધ્ધ પણ આ દિવસે સમાપ્ત થયું હતું. આ દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ, નર નારાયણ પૃથ્વી પર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.
સત્યયુગ અને ત્રેતાયુગનો આ દિવસથી ભગવાન જગન્નાથના રથ બનાવવાની તૈયારીઓ શરૂ થઇ જાય છે. આ દિવસે સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy