રાજકોટ, તા.4
રાજકોટ-ગુજરાતમાં દિવસે આકરો તાપ છતાં તાપમાન નોર્મલ આસપાસ જ પ્રવર્તી રહ્યું છે ત્યારે શનિવારથી પારો ઉંચકાવાની તથા આવતા સપ્તાહમાં 42 ડીગ્રી સુધી પહોંચવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. તાપમાન વર્તમાન સ્તરેથી 4 થી 6 ડીગ્રી સુધી વધી શકવાનો નિર્દેશ કર્યો છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં દિવસે-બપોરે આકરો તાપ વરસતો હોવા છતાં સવારે તથા રાત્રે ખુશ્નુમા વાતાવરણ જ અનુભવાઇ રહ્યું છે. પારો પણ નોર્મલ કે તેથી થોડો નીચે રહે છે. હાલ નોર્મલ મહત્તમ તાપમાન 38 થી 39 ડીગ્રી ગણાય છે તેની સરખામણીએ ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી તથા રાજકોટનું 38.7 ડીગ્રી હતું. જે નોર્મલ સ્તરે હતું.
અમરેલીમાં 38.4 તથા વડોદરામાં 37.4 ડીગ્રી હતું તે નોર્મલ કરતા 1 ડીગ્રી નીચુ નોંધાયું હતું. ડીસામાં 36.2 તથા ભુજમાં 36.5 ડીગ્રી તાપમાન નોર્મલ કરતાં બે ડીગ્રી નીચુ રહ્યું હતું.
તા.4 થી 11 એપ્રિલની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે તા.5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ કે તેથી નીચુ જ રહેવાની સંભાવના છે અને 36 થી 39 ડીગ્રીની રેન્જમાં રહી શકે છે.
તા.6 અને 7 એપ્રિલે તાપમાન વધશે અને પારો 38 થી 40 ડીગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. તા.8 થી 10 એપ્રિલમાં ગરમીમાં વધુ વધારો થશે અને તાપમાનનો પારો 40 થી 42 ડીગ્રીની રેન્જમાં પહોંચી શકે છે. એકંદરે હાલના તાપમાન કરતા આગાહીના સમયગાળા દરમ્યાન પારો 4 થી 6 ડીગ્રી વધવાની શકયતા છે.
આગાહીના સમયગાળામાં પવન પશ્ર્ચિમ અને ઉત્તર પશ્ચિમના રહેશે. તા.8 અને 9ના રોજ પવન જુદા-જુદા ક્ષેત્રોમાં અલગ-અલગ દિશાના ફુંકાશે, પવનની ઝડપ 10 થી 15 કિ.મી.ની રહેશે છતાં તા.5 થી 7 એપ્રિલ દરમ્યાન ખાસ કરીને સાંજે ઝાટકાના પવનની ઝડપ વધીને 20 થી 25 કિ.મી. થઇ શકે છે.
આગોતરૂ એંધાણ: તા.12 પછી માવઠુ શક્ય
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે તા.11 એપ્રિલ સુધી ગરમી-તાપમાન વધવાની આગાહી કરી છે. સાથોસાથ આગોતરુ એંધાણ આપતા એમ જણાવ્યું છે કે તા.11 સુધીની આગાહી પછીના સાત દિવસમાં ગુજરાત તથા દેશના જુદા-જુદા ભાગોમાં માવઠા થવાની સંભાવના છે. માવઠાની તીવ્રતા-સંભવિત વિસ્તારો સહિતનું અપડેટ હવે પછી આપવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy