(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ર9
કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ આઇકોન પદ્મશ્રી મુક્તાબેન ડગલી અને જગદીશભાઈ ત્રિવેદીએ મતદાન જાગૃતિ સંબંધિત પરિસંવાદ કર્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં 09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ આઇકોન પદ્મશ્રી મુક્તાબેન ડગલી અને જગદીશભાઈ ત્રિવેદીએ મતદાન જાગૃતિ સંબંધિત પરિસંવાદ કરી લોકોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.
આ પરિસંવાદમાં પદ્મશ્રી મુક્તાબેન ડગલી અને જગદીશભાઈ ત્રિવેદીએ મતદારોને ચૂંટણીમાં મૂંઝવતા પ્રશ્નોનું ખૂબ જ સરળ રીતે માર્ગદર્શન આપ્યું હતું. બંને મહાનુભાવો દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના અને 40% ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓ, ચૂંટણી કાર્ડ સિવાય પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મનરેગા જોબ કાર્ડ, આધાર કાર્ડ સહિતના અન્ય 12 માન્ય પુરાવાઓ દ્વારા મતદાન, દિવ્યાંગ મતદારોને ઘરેથી મતદાન મથક સુધી લઈ જવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી વ્યવસ્થાઓ, ચૂંટણી સંબંધિત મૂંઝવણ માટે ટોલ ફ્રી નંબર 1950 સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ઝાલાવાડવાસીઓને લોકસભા સામાન્ય ચૂંટણીમાં સહભાગી બની મહત્તમ મતદાન કરવા અપીલ પણ કરી હતી.
આ પરિસંવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, નાયબ માહિતી નિયામક સહિત ચૂંટણી વિભાગના વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy