રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીની જસદણના પારેવળા ગામની 14 વિઘા જમીન પર ભાગિયાનો કબ્જો

Crime | Rajkot | 03 July, 2024 | 11:39 AM
♦ ઇન્દિરા સર્કલ પાસે રહેતાં રીયલ એસ્ટેટ બ્રોકર હિતેષભાઈ ગઢવીના પિતાએ વર્ષો પહેલાં પારેવળાના જ કેશુ રામાવતને જમીન વાવવા આપી હતી: જે બાદ ખાલી કરવાનું કહેતાં જમીન પચાવી પાડી: 16 વર્ષથી કબ્જો
સાંજ સમાચાર

♦ ભાડલા પોલીસે ભુમાફિયા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપીએ તપાસ હાથ ધરી

રાજકોટ. તા.3
રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીની જસદણના પારેવળા ગામની 14 વિઘા જમીન પર તે જમીન ભાગથી વાવતા ગામના જ ભાગ્યાએ 16 વર્ષથી પચાવી પાડી રૂ.8.50 લાખની ખેતીની જમીન પર કબ્જો કરી લીધો હતો. જે મામલે જમીનના માલિકે કલેકટરમાં અરજી કરતાં ભુ માફિયા સામે ફરીયાદ નોંધવા આદેશ કરાતા ભાડલા પોલીસે ભુમાફિયા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપીએ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે શેરી નં.09 માં રહેતાં મૂળ જસદણના પરેવળા ગામના વતની હિતેષભાઈ લાખાભાઈ આલગા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કેશુ લાલદાસ રામાવત (રહે. પારેવળા, જસદણ) નું નામ આપતાં ભાડલા પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ખેતીકામ સાથે   જમીન, મકાન લે-વેચનું કામ કરે છે. તેમના પિતા લાખાભાઈ ચાર ભાઈઓ હતાં. તેઓની સંયુક્ત કુલ 230 વીઘા જેટલી જમીન પારેવાળા તથા બરવાળા ગામની સીમમાં આવેલ હતી.

આશરે ચાલીસેક વર્ષ પહેલા આ જમીનના ભાગ પડતા બરવાળા ગામની સીમના રેવન્યુ સર્વે નં.-111 પૈકી 1 ની આશરે 20 વીઘા જેટલી જમીન અને પારેવાળા ગામની સીમના રેવન્યુ સર્વે નં.-173 પૈકી 1 ની હે.આરે.ચો.મી. 8-28-60 જે આશરે 51 વીઘા જેટલી જમીન તેમના1 પિતાના ભાગમાં આવેલ હતી.

વર્ષ 1990 માં તેમના મોટા બાપુજી દેશળભાઈ  આલગા, આણંદભાઈ આલગાની સંયુક્ત માલીકીની પારેવાળા ગામની સીમના રેવન્યુ સર્વે નં.-173, 176, 177, 179, 180,181 ની જમીનમાં બન્ને ભાઇઓના સંતાનોના વારસાઇ હક્ક જતા કરી મારા મોટા બાપુજી દેશળભાઇના દિકરા હરેશભાઈના નામે આ જમીન કરેલ હતી.

ત્યારબાદ તમામ સર્વે નંબરોનું એકત્રીકરણ થયા બાદ રેવન્યુ સર્વે નં.-173 જેનું કુલ ક્ષેત્રફળ  14-12-36 હેકટર થઇ આવેલ હતું. આ સર્વે નંબરની જમીનમાં તેમના પિતાના ભાગમાં આશરે કુલ 51 વીઘા જેટલી જમીન આવેલ હોય, જે જમીન વર્ષ 2008 માં તેમના મોટા બાપુજી દેશળભાઈના દિકરા હરેશભાઇએ  વેચાણ દસ્તાવેજથી તારીખ 09/08/2008 ના રોજ તેઓ બન્ને ભાઇઓના નામે કરી આપેલ હતી. જે જમીન રેવન્યુ સર્વે ને .-173 પૈકી 1 ક્ષેત્રફળ 8-28-60 હેકટર છે.

તેમના પિતાના ભાગમાં આવેલ 51 વીઘા જેટલી જમીન 20-22 વર્ષ પહેલા તેમના પિતાએ ગામના કેશુ લાલદાસ રામાવતને ભાગથી વાવવા માટે આપેલ હતી. જેમાં કેશુભાઈએ આ જમીન બે-ત્રણ વર્ષ ભાગથી તેમજ બે-ત્રણ વર્ષ ઉભડમાં વાવવા રાખેલ હતી. ત્યારબાદ કેશુભાઈએ ફરિયાદીના પિતાને વાત કરેલ કે, હું તમારી બધી જમીનમાં પહોંચી શકતો નથી, તેવી વાત કરતા કેશુભાઇને 14 વીઘા જેટલી જમીન વાવવા માટે આપેલ હતી.

વર્ષ 2008 માં જમીન ફરિયાદી અને તેના ભાઇના નામે થયા બાદ કેશુભાઈને વાવવા માટે આપેલ 14 વીઘા જમીન વાવવા માટે આપવી ન હોય, જેથી  જમીન ખાલી કરવા માટે તેમને અવાર-નવાર કહેવા છતા જમીન ખાલી કરેલ ન હતી. જેથી કેશુ  રામાવત દ્વારા માલીકીની જમીન ગેરકાયદેસર રીતે બળજબરીથી કબ્જો કરી પચાવી પાડેલ હતી. જેથી તેમના વિરુદ્ધ કલેક્ટર કચેરીમાં લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળની અરજી આપેલ હતી.

જે બાદ સરકારી તપાસ થતાં ફરિયાદીની 14 વિઘા જમીન પર કેશુ રામાવતે કબ્જો કરી રૂ.8.50 લાખની જમીન પચાવી પાડયાનું ખુલતાં ફરીયાદ નોંધાવા આદેશ આપવામાં આવ્યો હતો. બનાવ અંગે ભાડલા પોલીસે ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપીએ તપાસ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj