♦ જસદણ પોલીસે મૃતકના ભાઈની ફરીયાદ પરથી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરી
રાજકોટ. તા.02
જસદણના નાની લાખાવડ ગામમાં મોડિરાતે ખેલાયેલા ખૂની ખેલમાં મોટો ખુલાસો થયો હતો. ખેડૂત વલ્લભભાઈને તેના પુત્રએ પકડી રાખી પત્નીએ દાંતરડાના 35 ઘા અને હાથોડીના 20 ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. અન્ય સ્ત્રી સાથેના સબંધના કારણે ખૂની ખેલ ખેલાયનું ખુલ્યું હતું. જસદણ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે જસદણના નાની લાખાવડ ગામે હનુમાનપરામાં રહેતાં વસંતભાઇ અરજણભાઇ બાવળીયા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાનુબેન વલ્લભ બાવળીયા અને તેના પુત્ર જયેશ વલ્લભ બાવળીયા (રહે. બંને નાની લાખાવડ, જસદણ) નું નામ આપતાં જસદણ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બંને માતા-પુત્રની ધરપકડ કરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરે છે. તેઓ પરીવારમાં ચાર ભાઇઓ છે. જેમાં મોટાભાઈ સુખાભાઈ, વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ છે. ગઈકાલે સવારના સાત વાગ્યાની આસપાસ તેઓ ઘરે સૂતાં હતાં ત્યારે તેમના પત્નીએ વાત કરેલ કે, વલ્લભભાઈના દીકરા જયેશના સસરા લાખાભાઈ ઘરે આવીને વાત કરેલ કે વલ્લભભાઈ અને તેની પત્ની ભાનુ અને દીકરો જયેશ રાત્રિના ઝગડેલ છે. જેથી તેઓ તેમની ઘરે ગયેલ અને ત્યાં જતાં વલ્લભ તેના રૂમમાં ખાટલા ઉપર લોહી લુહાણ હાલતમાં ઉંધા માથે સુતેલ હાલતમાં પડેલ હતો અને તેના માથાના ભાગે મોટા કાપા પડી ગયેલ હતો અને તેમાથી લોહી નીચે પડતુ હતુ. આખા શરીરે ઈજાના નીશાન હતા અને તે હલન ચલણ કરતો ન હતો અને મરણ ગયેલ હતો.
ઘટનાસ્થળે મૃતક વલ્લભભાઈનો પુત્ર જયેશ ઘરે હોય તેમને વાત કરેલ કે, રાત્રિના એક વાગ્યે મારા પિતાને કોઇ અન્ય મહીલા સાથે આડા સબંધની ઘણા સમયથી મારી માતાને શંકા હોઇ જેથી અવારનવાર ઝગડતા હતા. રાત્રે પણ બંને તે બાબતે ઝગડતા હતા અને અવાજ આવતા હું રૂમમાં ગયેલ અને બન્નેને ઝગડો નહી કરવાનું કહેતા મારા પિતા મારી સામે બોલાચાલી કરવા લાગેલ જેથી ગુસ્સો આવતા મે મારા પિતાને હાથથી પકડી રાખેલ અને મારી માતાને મારવા કહેતા રૂમમાં નાનુ લોખંડનું ધારીયુ હોય તે લઈ માતાએ પિતાના માથામાં અને શરીરે આડેધડ ધારીયાના 35 ઘા ઝીંક્યા બાદ ધારીયુ નીચે મુકી દીધેલ હતું.
બાદમાં માતાએ રૂમમાં હથોડી પડેલ હોય તે લઈ તે પિતાને શરીરે આડેધડ મારમારી હત્યા નિપજાવી હતી. બાદમાં મને ભય લાગતાં મારી પત્નીને બાઇકમાં બેસાડી સસરાના ઘરે રાજકોટ આવતાં રહેલ હતાં. બાદમાં તેનો તે રાજકોટથી પરત અવેલ હતો અને મૃતક વલ્લભભાઈની પત્ની ભાનુબેન પોલીસ મથકે પહોંચી ગઈ હતી. બાદમાં જસદણ પોલીસ મથકના પીઆઈ તપન જાની અને ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે હત્યારા માતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બે દિવસ પહેલાં દંપતી વચ્ચે ઝઘડો થયો ત્યારે સમાધાન કરાવ્યું ’તું: મૃતકના મોટાભાઈ
રાજકોટ. તા.02
જસદણના નાની લાખાવડ ગામમાં ખેડૂતની પત્ની અને પુત્રએ કરેલ હત્યાના બનાવમાં મૃતકના ભાઈ વસંતભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ પરીવાર સાથે જસદણ રહેતાં હતાં અને ત્રણ મહિના પહેલાં જ નાની લાખાવડ ગામે રહેવાં આવ્યા હતાં. દરમિયાન બે દિવસ પહેલાં તેઓ તેમના ઘર પાસેથી નીકળતાં બંને ઝઘડો કરતાં હોય જેથી તેઓ ત્યાં ગયાં હતાં અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારે તેમની પત્નીએ જણાવ્યું હતું કે, તેમના પતિ કોઈ મહિલાને બાઈકમાં ફેરવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy