રાજકોટ તા.4
આગામી તા.7 ના અષાઢીબીજ પર્વ પર નીકળનાર જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા અનુસંધાને ગઈકાલે રાતના સમયે શહેર પોલીસ દ્વારા શહેરની તમામ ચોકડી, સર્કલ પર સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યુ હતું તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મેદાનમાં ઉતર્યા હતા.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બાબરીયાએ આગામી અષાઢીબીજ પર્વ પર નીકળનાર જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા અનુસંધાને ગઈરાતના શહેરભરમાં એક કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ હતું. પોલીસ કમિશ્નરની સૂચનાથી શહેરભરનાં તમામ પોલીસ મથકનો સ્ટાફ કોમ્બીંગમાં જોડાયો હતો.જેમાં શહેરના તમામ સર્કલ, ચોકડીઓ તેમજ રેસકોર્ષ નજીક સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જેમાં નશાની હાલતમાં વાહન ચલાવતા તેમજ હથિયારો રાખી ફરતા લોકોને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ શહેર પોલીસનાં સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું અને આગામી અષાઢી બીજ તેમજ મહોરમના તહેવાર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તમામ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે.
ઉપરાંત પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા પણ મોડીરાત્રે મેદાનમાં ઉતર્યા હતા અને ભક્તિનગર પોલીસ મથક, આજીડેમ પોલીસ મથક, માલવીયાનગર પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ મથકની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. પોલીસ કમિશ્નર દોડી આવતા પોલીસ મથકના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.
અષાઢી બીજની અમદાવાદમાં નીકળનાર રથયાત્રામાં ઘણાં પોલીસ સ્ટાફને ફરજમાં મુકવામાં આવ્યા
અમદાવાદમાં આગામી અષાઢીબીજ નીમીતે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રાજકોટ શહેર પોલીસના ઘણાં સ્ટાફને ફરજમાં મુકવામાં આવ્યા છે. પાંચ દિવસ સુધી અલગ અલગ પોલીસ મથકમાંથી પોલીસમેનને અમદાવાદ રથયાત્રાની સુરક્ષા અર્થે ફરજ પર મોકલવામાં આવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy