જામનગરના આઠ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર: કમિશનરની ઉચ્ચ સ્તરીય બેઠક

Saurashtra | Jamnagar | 04 July, 2024 | 01:51 PM
♦જિલ્લા કલેકટર દ્વારા જામનગર શહેરના ત્રણ આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા આઠ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું: કમિશનર ડી.એન.મોદીએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી: સર્વેમાં કોલેરાના ઉદ્ગમસ્થાન, કારણો અને ઉપાય અંગે રાજ્ય સરકારના આરોગ્ય અધિકારી તેમજ જી.જી.હોસ્પિટલના ડોકટરો પણ જોડાયા
સાંજ સમાચાર

જામનગર તા.4

જામનગરમાં છેલ્લા 3 અઠવાડીયામાં કોલેરામાં પાંચ કેસ નોંધાયા બાદ મ્યુ. કમિશનરની દરખાસ્ત ઉપરથી કોલેરાનો રોગચાળો ફેલાતો અટકાવવા જિલ્લા કલેક્ટરએ જાહેરનામું બહાર પાડીને શહેરના 3 આરોગ્ય કેન્દ્રો હેઠળના વિસ્તારોને કોલેરાગ્રસ્ત અને આ ત્રણેય આરોગ્ય કેન્દ્રો હેઠળના બે કીલોમીટરના વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા છે. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય શાખાની ટીમોએ સર્વે સહિતની કામગીરી હાથ ધરી છે. કમિશનરે આ અંગે ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી.

શહેરમાં કોલેરાના પાંચ કેસ નોંધાયા બાદ પાણી જન્ય એવા આ રોગચાળાને ઉગતો ડામવા મ્યુ. કમિશનર ડી.એન.મોદીએ કરેલી દરખાસ્ત ઉપરથી જિલ્લા કલેક્ટર બી.કે.પંડયાએ બેડી આરોગ્ય કેન્દ્ર હેઠળના ધરારનગર-બે નો વિસ્તાર, ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્ર હેઠળના ખોજાવાડ-લાલખાણ વિસ્તાર, વોર્ડ નં.6માં વામ્બે આવાસ આરોગ્ય કેન્દ્ર હેઠળના રવિપાર્ક, બેડી બંદર રીંગ રોડનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે.

આ જ રીતે આ વિસ્તારોને લગત બે કીલોમીટરના વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા છે. તેમજ ત્રણેય આરોગ્ય કેન્દ્રો હેઠળના બે કીલોમીટરના વિસ્તારના કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાને નિયુક્ત કર્યા છે. કમિશનર ડી.એન. મોદીએ  જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ, વાહક રોગચાળાના નોડલ અધિકારી એસ.એસ.ચેટરજી, બાળરોગ વિભાગના વડા ડો.ભદ્રેશ વ્યાસ સાથે બેઠક યોજી હતી.

મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, મેડીકલ કોલેજ અને હોસ્પિટલની રીસ્પોન્સ ટીમ દ્વારા તેમજ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ અને જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. જે કેસ આવ્યા છે.

તે છુટક-છુટક આવ્યા છે. પરંતુ તંત્ર પુરી સાવચેતી સાથે કામ કરી રહ્યું છે. આ રોગચાળો પાણીજન્ય રોગચાળો છે. તેથી કોર્પોરેશનની પાણી વિતરણ વ્યવસ્થામાં પણ ક્લોરિનેશન વધારવા સુચના આપી છે. લોકો પણ મોટાભાગે પાણી ઉકાળીને ઉપયોગમાં લે, ઘરે માટલામાં ક્લોરિનેશન કરીને પાણીનો ઉપયોગ કરે તે હિતાવહ છે.

શહેરના ટીટોડીવાડી વિસ્તારમાં રહેતા એક આધેડ, પટેલ કોલોનીમાં 9 વર્ષનો બાળક, ખોજા ગેઈટમાં રહેતા એક મહિલા, હાપા રોડ પર રહેતી એક યુવતી, મોરકંડા રોડ ઉપર રહેતો યુવક, બેડી રીંગ રોડ ઉપર રવિપાર્કમાં રહેતા 60 વર્ષના વૃધ્ધ, એમપી શાહ ઉદ્યોગનગરમાં રહેતા 57 વર્ષિય એક મહિલા કોલેરાના દર્દી તરીકે નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 3 દર્દીઓ સિવાયનાને હોસ્પિટલમાંથી રજા પણ મળી ચુકી છે.

કોલેરાગ્રસ્ત જાહેર થયેલાં જામનગર શહેરના આઠ વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જુદી જુદી ટીમોએ સ્થળ તપાસ કરી સર્વે હાથ ધર્યો છે અને જંતુનાશક દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી છે.

મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.ગોરીએ જણાવ્યું હતું કે, સર્વેની કામગીરીમાં મહાનગરપાલિકાની સાથે રાજ્ય સરકાર હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારી ઉપરાંત જી.જી.હોસ્પિટલના તબીબો પણ જોડાયા છે અને કોલેરાના ફેલાવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj