(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.27
રાજુલા જાફરાબાદ પંથકમાં ગત શનિવારે હુમલાખોર સિંહણ દ્વારા ખાનગી કંપનીના સિક્યુરિટી બાદ વન વિભાગના 3 કર્મીઓને ઈજાગ્રસ્ત કરવાની ઘટનાથી વનવિભાગ દ્વારા હુમલાખોર સિંહણને પીજરે પુરી દેવામાં આવી હતી. બાદમાં આ હુમલાખોર સિંહણને પિંજરે પૂર્યા બાદ સારવાર માટે થઈ બાબરકોટ એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ જ્યાં આ સિંહણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ ગત શનિવારે રાત્રીના જાફરાબાદના લુણસાપુર નજીક આવેલી ખાનગી કંપનીના સિક્યુરિટી પર એક 5 થી 9 વર્ષની સિંહણે હુમલો કરતા ઈજાગ્રસ્ત સિક્યુરિટીને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતો. અને હુમલાખોર બનેલ સિંહણ લુણસાપુરથી મિતિયાળા ગામ સુધી ગઈ હતી અને ત્યાં વનવિભાગના 2 ટ્રેકર અને વનવિભાગની ગાડીમાં કાચ ચડાવીને બેઠેલા ડ્રાઇવરને કાચ તોડીને સિંહણે ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે ગણતરીના સમયમાં સિંહણ દ્વારા ચાર ચાર માનવ હુમલાઓથી વનતંત્ર પણ ચોંકી ગયું હતું. અને 2 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ સિંહણ પાંજરે પુરાઇ હતી. હુમલા ખોર સિંહણને પિંજરે પૂર્યા બાદ સારવાર માટે થઈ બાબરકોટ એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ જ્યાં આ સિંહણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સને 2022માં જાફરાબાદના બાબરકોટમાં 1 સિંહણ દ્વારા માનવ ઉપર હુમલાઓ કર્યા હતા. અને આ સિંહણને પકડવા માટે જે તે સમયે વનવિભાગ અને પોલીસે આખો રાજુલાની જાફરાબાદનો માર્ગ બંધ કર્યો હતો. બાદમાં મહા મુસીબતે આ સિંહણ પકડાઈ હતી. ને સારવાર દરમ્યાન આ સિંહણ મોતને ભેટી હતી. ત્યાર બાદ સને 2023માં રાજુલાના વાવેરા ગામે પણ એક સિંહણે આંતક મચાવ્યો હતો. અને માનવ ઉપર હુમલાઓ કર્યા હતા.
તેમને પણ વનવિભાગે પકડ્યા બાદ સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમ્યાન આ સિંહણનું મોત થયેલું હતું. જ્યારે ફરી વધુ એક સિંહણ ગત શનિવારે આક્રમક બનીને ચાર ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી હતી. આ સિંહણનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આવી ઘટના જોતા એવું લાગી રહ્યું છે, કે સિંહણમાં હડકવા જેવા રોગની અસર થતી હોય, જેને કારણે સિંહણો આક્રમક બનીને માનવ ઉપર હુમલાઓ કરી રહી હોય, તે અંગે પણ વનવિભાગે જરૂરી તપાસ કરવી જોઈએ તેવું સિંહ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy